મહાભારતમાં આનર્ત રાજ્ય

મહાભારતના વિભિન્ન પ્રસંગોમાં આનર્ત રાજ્યની મહત્વની ભૂમિકા રહી. આ વાતનો સંદર્ભ મહાભારતની કથામાં અનેક સ્થળે જોવામાં આવે છે. મહાભારતમાં આનર્ત રાજ્ય અને આનર્ત લોકો વિષે અન્ય લોકોની સાથે નિર્દેશ કરેલો છેઃ "પુંદ્ર, ભાર્ગ, કિરાત, સુદેષણા, યમુના, સાક, નિશાધ, આનર્ત, કુંતલ, અને કુસાલ."

પાંડવ-પુત્રો માટે સુરક્ષા-સ્થાન અને તાલિમી કેન્દ્રના રુપમાં આનર્ત

મહાભારતના ત્રીજા પર્વના એક્સો બ્યાસીમા અધ્યાય (મહા. ૩.૧૮૨) માં કહ્યું છે કે, જ્યારે કૌરવોએ પાંડવોને તેમના રાજ્યમાંથી નિષ્કાસિત કર્યા, ત્યારે દ્રૌપદીથી ઉત્પન્ન થયેલા પાંચ પાંડવ-પુત્રોને પણ હસ્તિનાપુરથી બહાર મોકલી દેવામાં આવ્યા હતા. પહેલાં તેઓ પાંચાલ રાજ્ય, કે જે તેમના માતૃપક્ષના નાના (દાદા) ના શાસન તળે હતું, અને પછી આનર્ત રાજ્યમાં ગયા. આનર્ત રાજ્યમાં તેમણે વિખ્યાત આનર્ત યોધ્ધાઓ પાસેથી યુધ્ધની કળા શીખી.



આનર્ત રાજ્યમાં તેના પુત્રો પોતાનો સમય કેવી રીતે વ્યતિત કરે છે તેનું વર્ણન કૃષ્ણ આ શબ્દોમાં દ્રૌપદી આગળ કરે છેઃ "તારા આ પુત્રો શસ્ત્રોના વિજ્ઞાનના અભ્યાસ પ્રતિ સમર્પિત છે, સુચારુ વર્તન કરે છે, અને તેમનું આચરણ તેમના સાચા મિત્રોના આચરણ જેવું જ છે. તારા પિતાશ્રી અને ભાઇઓએ તેમની સમક્ષ રાજ્ય અને પ્રદેશનો સ્વિકાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ છોકરાઓને દ્રુપદના નિવાસમાં અને તેમના મામાઓને ત્યાં આનંદ નહોતો મળતો. તેથી તેઓ સહિસલામત આનર્તોના પ્રદેશમાં જઈને શસ્ત્રોના વિજ્ઞાનના અભ્યાસમાં સૌથી વધારે આનંદ મેળવે છે. તારા પુત્રો વ્રિશ્નીઓના નગરમાં પ્રવેશ કરે છે અને તેમને ત્વરિત ત્યાંના લોકો પસંદ પડી જાય છે. તેમણે કેવી રીતે આચરણ કરવું જોઇએ તેના માટે જેવી રીતે તું તેમને માર્ગદર્શન આપતી હોત, અથવા માનનિય કુંતિ આપતાં હોત, તેવી જ રીતે સુભદ્રા સતર્કતાથી તેમનું માર્ગદર્શન કરે છે. કદાચ તે તેમનું વધારે ધ્યાન રાખે છે. પ્રદ્યુમ્ન જેવી રીતે અનિરુધ્ધ, અભિમન્યુ, સુનિત અને ભાનુના શિક્ષક છે, તેવી જ રીતે તારા પુત્રોના પણ શિક્ષક અને આશ્રયદાતા છે. અને સારા શિક્ષક, કે જે તેમને ભાલા, તરવાર, ઢાલ, અસ્ત્ર, અને રથ ચલાવવાની કળા, ઘોડેસ્વારી કરવાના, અને બહાદૂર બનવાના પાઠ ઉત્તરોત્તર શીખવે છે. અને તે પ્રદ્યુમ્ન, રુક્મણીનો પુત્ર, તારા પુત્રો અને અભિમન્યુનાં પરાક્રમી કાર્યોથી સંતુષ્ટ થાય છે. હે દ્રુપદપુત્રી! જ્યારે તારા પુત્રો ક્રિડા કરવા માટે બહાર જાય છે, તો દરેકની સાથે રથ, ઘોડા, વાહન, અને હાથી રહેતા હોય છે."

ત્યારપછી, કૃષ્ણ પાંડવોના નિષ્કાસિત નરેશ યુધિષ્ઠીરને બતાવે છે કે પાંડવોના પક્ષે લડવા માટે કયા કયા શૂરવીર આનર્ત સેનાપતિ અને યોધ્ધા તત્પર છે. તેમાં સાતવત, દસાર્હ, કુકુર, અધક, ભોજ, વ્રિષ્ણી, અને મધુ જાતિઓ સામેલ છે. તેઓ પાંડવોના શત્રુઓને હરાવવા માટે તૈયાર છે. હળ જેનું આયુધ છે તે બલરામ પણ ધનુષ્યધારીઓ, ઘોડેસ્વારો, પાયદળના સૈનિકો, અને રથ તથા હાથી પર સવાર યોધ્ધાઓના આગેવાન થશે.



આનર્તમાં કુંતી

મહાભારતના પાંચમા પર્વના ત્ર્યાસીમા અધ્યાય (મહા. ૫.૮૩) માં નિર્દેશ છે કે, પાંડવોના નિષ્કાસનના કાળમાં કેટલાક સમય માટે તેમની માતા કુંતી આનર્ત પ્રદેશમાં રહી.

મહાભારતના યુધ્ધમાં આનર્તોનું જોડાણ


મહાભારતના પાંચમા પર્વના સાતમા અધ્યાય (મહા. ૫.૭) માં આપણને એ બાબતનું વિસ્તૃત વિવરણ મળે છે કે, કૌરવો અને પાંડવોની વચ્ચે થનારા યુધ્ધમાં આનર્ત યોધ્ધાઓનો સાથ મેળવવા માટે આનર્તપુરની મુલાકત વખતે દુર્યોધન અને અર્જુન બંનેના પ્રયત્નોનું શું પરિણામ આવ્યું.

કેટલાક આનર્ત યોધ્ધાઓએ કૌરવોના સૈન્યમાં સામેલ થવાનું પસંદ કર્યું, તો કેટલાક યોધ્ધાઓએ પાંડવોને સાથ આપવાનું પસંદ કર્યું. યાદવોના નરેશ વાસુદેવ કૃષ્ણ સ્વયં પાંડવો સાથે જોડાયેલા રહ્યા. તેમણે યુધ્ધમાં કોઇ શસ્ત્ર નહીં ઉગામવાનું વચન આપ્યું, પરંતુ તેમાં તેમણે એક રાજનીતિજ્ઞ, શાંતિના દૂત, રણ-નીતિના સલાહકાર, અને અર્જુનના માર્ગદર્શક તથા તેના રથના સારથિ તરીકે ભાગ લેવાનો નિશ્ચય કર્યો. કોણ જાણે કેમ, તેમણે સંખ્યાબંધ યોધ્ધાઓનું બનેલું 'નારાયણ' નામથી ઓળખાતું પોતાનું સૈન્ય કૌરવોના આગેવાન દુર્યોધનને આપ્યું.

કૃષ્ણના ભાઇ બલરામની ઇચ્છા દુર્યોધનની મદદ કરવાની અને કૌરવ સેનાને પક્ષે લડવાની હતી. પરંતુ તેમ કરવાથી બલરામે પોતાના જ ભાઇ કૃષ્ણની સામે લડવું પડે તેમ હતું, કેમકે કૃષ્ણે પાંડવોના આગેવાન અર્જુનના સારથી બનવાનું પસંદ કર્યું હતું. આથી તેમણે નિષ્પક્ષ રહેવાનું પસંદ કર્યું. છેવટે, તેમણે યુધ્ધમાં બિલકુલ ભાગ જ ન લેવાનો નિશ્ચય કર્યો અને તેઓ સરસ્વતી નદીની તટ-યાત્રા પર ચાલ્યા ગયા.



આનર્ત યોધ્ધાઓનો સંહાર

ભોજ યાદવ સેનાપતિ કૃતવર્મ પોતાની એક અક્ષૌહિણી સેના લઈને કૌરવો સાથે જોડાઇ ગયો. તેની સામે, બીજો મહાન આનર્ત સેનાપતિ સત્યકી, જેની પાસે પણ એક અક્ષૌહિણી સેના હતી, પાંડવોના પક્ષે ગયો. આ બંને પોતપોતાની સેના લઈને એક બીજાની સામે લડ્યા અને સ્વયં પણ એકબીજા સાથે દ્વંદ્વ-યુધ્ધમાં ઉતર્યા. (મહા. ૯.૨૧).

આ બંને આનર્ત સેનાપતિઓ કુરુક્ષેત્રના યુધ્ધમાંથી તો જીવિત પાછા આવ્યા. પરંતુ તેના છત્રીસ વર્ષ બાદ, એક દિવસ તેમના વચ્ચે મહાભારતના યુધ્ધ દરમિયાન અનુચિત રીતભાતનો ઉપયોગ કરવાની વાતને લઈને ઝઘડો થઈ ગયો. તે બંને મદિરાના નશામાં હોવાથી મારામારી પર આવી ગયા. અને ગાંધારીએ અગાઉથી ભવિષ્યકથન કર્યું હતું તે પ્રમાણે, બાકીના યાદવોની સાથે સાથે તેઓ પણ અંદરોઅંદર લડીને એકબીજા વડે જ માર્યા ગયા. (મહા. ૧૬.૩.).

આવી રીતે, કુરુક્ષેત્રનું યુધ્ધ એટલા બધા આનર્ત યોધ્ધાઓના સંહારનું નીમિત્ત બન્યું કે, તેની પશ્ચાત્ આનર્તોના સૈનિક આધિપત્યનો અસ્તાંચળ થઈ ગયો.

[મહાભારતનો સંદર્ભઃ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનું મહાભારત, અંગ્રેજી ભાષાંતરઃ કૈસરી મોહન ગાંગુલી, ભારત પ્રેસ, કલકત્તા, ૧૮૮૩-૯૭.]


નવીન સર્વ વિદ્યાલય

સન ૧૯૪૦ માં શેઠ શ્રી માનચંદદાસ કુબેરદાસ પટેલે પોતાના પિતા શ્રી કુબેરદાસ પટેલના સ્મરણાર્થે નવીન સર્વ વિદ્યાલયની સ્થાપના કરી. આ વિદ્યાલય આગળ જતાં ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધી વિકસ્યું. શ્રી માનચંનદદાસ વડનગરના સપૂત હતા અને તેમનો મુંબઈમાં મોટો વેપાર હતો. મૂળ તો, તેમણે કુબેરવાડી નામનું એક મોટું ભવન બંધાવ્યું હતું અને તેમાં અનાથ બાળકો માટે 'બૉર્ડિંગ હાઉસ' સ્થાપ્યું હતું.



આ ભવન તેમના પરમ મિત્ર અને નામાંકિત સ્થપતિ શ્રી પુરુષોત્તમદાસ હરિકરણ સુથારના માર્ગદર્શન નીચે બન્યું હતું. જ્યારે શ્રી માનચંદદાસે તેનો ઉપયોગ વિદ્યાલય માટે કરવાનો નિશ્ચય કર્યો, ત્યારે તેનો બધો કાર્યભાર પણ શ્રી પુરુષોત્તમદાસને સોંપ્યો, કેમકે તેઓ પોતે તો મુંબઈથી વડનગર વર્ષે બે વર્ષે થોડાક દિવસો પૂરતા જ આવતા.



પહેલા વર્ષે તો વિદ્યાલય એક જ વર્ગથી શરુ થયું, ત્યારપછી દર વર્ષે આગળનું એક ધોરણ વધારવામાં આવ્યું. આમ, આગળનાં દસ વર્ષમાં તેને પૂર્ણ હાઇસ્કૂલ બનાવવામાં આવી. આ કામ કંઇ સરળ નહોતું. દર વર્ષે શાળાના નવા વર્ગ-ખંડની ફર્નિચર બનાવડાવવાથી માંડીને નવા શિક્ષક શોધી કાઢવા સુધીની વ્યવસ્થા કરવાની રહેતી. અને આ વિદ્યાલયનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય શિક્ષણ આપવાનો હતો, તેથી તે જાતના અભ્યાસક્રમો અને શિક્ષકો જરુરી બનતા. સાથે સાથે અનાથ બાળકો માટે એક જુદા જ ભવનના નિર્માણનું કામ પણ કરવામાં આવ્યું. અનાથ બાળકોના આ છાત્રાલયની વ્યવસ્થા શ્રી બાબુભાઇ વિઠ્ઠલદાસ પટેલે નિસ્પૃહ ભાવે ઉપાડી લઈને ન ભૂલાય તેવી સેવા કરી. આ સમગ્ર યોજના વિષેની વિશિષ્ટ વાત તો એ હતી કે તે માટે જરુરી તમામ ધન શ્રી માનચંદદાસ પટેલે એકલાએ જ દાનરુપે પૂરું પાડ્યું. ન તો એમણે ક્યારેય કોઇની મદદ માંગી, કે ન ક્યારેય વિદ્યાલયના વિકાસ માટે દાન આપવામાં કોઇ પણ રીતે પાછી પાની કરી.

સન ૧૯૫૪માં શ્રી માનચંદદાસ અને સન ૧૯૫૬માં શ્રી પુરુષોત્તમદાસનું અવસાન થઈ ગયું. પરંતુ બંનેએ દૂરદર્શિતા વાપરીને વિદ્યાલયની બધી વ્યવસ્થા શ્રી સુખલાલ બેચરદાસ પટેલની અધ્યક્ષતામાં બનેલી એક સ્થાનિક સમિતિને સોંપી દીધી હતી. તેમની આગેવાનીમાં જ વિદ્યાલયને ઉચ્ચતર માધ્યમિક શાળા, અને તે પણ વિજ્ઞાન પ્રવાહમાં, નો દરજ્જો પ્રાપ્ત થયો. વળી, વધતા જતા વિદ્યાર્થીઓની સંખ્યાને સમાવિષ્ટ કરવા માટે જુના ભવનની બાજુમાં જ એક નવા મકાનનું નિર્માણ થયું.

આ વિદ્યાલય શરુઆતથી જ રાષ્ટ્રીય શિક્ષણને અનુરુપ ઉચ્ચ કક્ષાની શક્તિઓ ધરાવતા અધ્યાપકો મેળવવામાં ભાગ્યશાળી રહ્યું. વિદ્યાલયના સર્વાંગી વિકાસમાં, શરુઆતનાં વર્ષોમાં આચાર્ય રહેલા શ્રી વિરેન્દ્રરાય કૃષ્ણપ્રસાદ વ્હોરા અને પાછળનાં વર્ષોમાં આચાર્ય રહેલા શ્રી અંબાલાલ સોમભાઇ પટેલની કાર્યક્ષમતા અને કર્તવ્યનિષ્ઠાનો ફાળો નાનોસૂનો નથી. અડધા શતક કરતાં પણ વધારે સમય પહેલાં કે જ્યારે દેશ સ્વતંત્ર પણ નહોતો, ત્યારે એક વર્ગથી શરુ થયેલું આ વિદ્યાલય આજે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે આ વિસ્તારમાં પ્રથમ પસંદગીની શાળા મનાય છે.



અત્યારસુધીમાં, આ વિદ્યાલયમાં અભ્યાસ કરીને ઘણા વિદ્યાર્થીઓએ તેજસ્વી કારકિર્દી બનાવી છે; અને તેમાંના કેટલાય પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધ્યા છે.


પાટણ

આનર્ત રાજ્યનો અસ્ત થયા બાદ, પ્રથમ વલ્લભી અને ત્યારબાદ પાટણ ગુજરાતની રાજધાની બન્યાં. સન ૭૪૫ માં વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના કરી. સન ૮૪૨ અને ૧૨૪૪ ની વચ્ચે ત્રણ સદીઓ જેટલા લાંબા સમય સુધી, તે સોલંકી રાજવીઓ મૂળરાજ, કુમારપાળ, અને સિધ્ધરાજની રાજસત્તામાં પોતાના વિકાસ અને વૈભવના શિખરે રહ્યું. તે સમયે સંપત્તિ અને સંસ્કારિતામાં તેની બરાબરી કરી શકે તેવું એક પણ શહેર આખા પશ્ચિમ ભારતમાં ક્યાંય નહોતું.



સન ૧૨૪૪ થી વાઘેલા રાજવીઓ પાટણમાં સત્તા પર આવ્યા, પરંતુ તેઓ કંઇ વધારે તાકાતવાળા સાબિત થયા નહીં. સન ૧૩૦૪ માં દિલ્હી સલતનતે ગુજરાત જીતી લીધું અને પાટણમાં તેના સૂબાને સત્તા સંભાળવા મૂક્યો. સન ૧૪૧૧ માં સુલતાન અહમદ શાહ ગુજરાતની રાજધાની પાટણથી ખસેડીને અમદાવાદ લઈ ગયો.

રેલ્વે આવી

સન ૧૮૫૨ માં ભારતમાં મુંબઈ અને થાણેની વચ્ચે પ્રથમ રેલ્વેના પાટા નાંખવામાં આવ્યા. આ પાટા પર ૧૬ મી એપ્રિલ ૧૮૫૩ ના દિવસે આ બે સ્ટેશનો વચ્ચેનું ૩૪ કિલો મીટરનું અંતર કાપતી પહેલી રેલગાડી દોડી.




શ્રી જેઠાભાઇ મારફતિયાએ રાખેલી નોંધ પ્રમાણે વડનગરમાં સન ૧૯૦૭ સુધીમાં તો રેલ્વે આવી ગઈ હતી. તેનાથી આ નગર આખા દેશ સાથે જોડાઇ ગયું અને વેપારની બધી દિશાઓ ખુલી ગઈ. હવે, વડનગર અને તેની આસપાસના પ્રદેશમાં ઉત્પન્ન થતો માલ-સામાન દૂર-સુદૂરનાં સ્થળોએ સહેલાઇથી મોકલી શકાતો હતો. તેવી જ રીતે દૂર દૂર નાં ઉત્પાદન કેન્દ્રોમાંથી વિધવિધ પ્રકારની ચીજવસ્તુઓ આ નગરમાં આવવા લાગી.



અહીંનો વેપાર ઝડપથી વધવા લાગ્યો; અને થોડાંક જ વર્ષોમાં આ નગર કૃષિ અને ઔદ્યોગિક પેદાશો માટેનું એક મોટું બજાર બની ગયું. ગોળના વેપાર માટે તો આખા ગુજરાતનું તે સૌથી મોટું કેન્દ્ર બની ગયું; તે એટલે સુધી કે, વડનગરના વેપારીઓ અમદાવાદના બજારને ગોળ પૂરો પાડતા હતા. તેવી જ રીતે ઇમારતી લાકડાના વેપારનું પણ તે મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું. અહીંના વેપારીઓ બર્મા (આજનું મયાનમાર), મલ્બાર, આસામ, અને નેપાળમાંથી ઇમારતી લાકડું ખરીદી લાવતા હતા અને તે પોતાની લાટીઓમાં વહેરીને આખા ઉત્તર ગુજરાતમાં વેચતા હતા. વડનગર કાપડ રંગવા અને તેના પર છાપકામ કરવાના ઉદ્યોગ માટે ગુજરાતભરમાં પ્રખ્યાત થયું. અહીંની ભાવસાર અને છીપા કોમો આ ઉદ્યોગ ચલાવતી હતી અને તેમના કળા-કૌશલ્ય માટે તે મોટી નામના ધરાવતી હતી. અહીં તાંબા-પિત્તળનાં વાસણો બનાવવાનો મોટો ઉદ્યોગ ખીલ્યો, કેમકે નગરની કંસારા કોમના કારીગરોની તોલે આવે તેવા કારીગરો અન્યત્ર મળવા બહુ મુશ્કેલ હતા.

કૃષિ પેદાશોના વેપારમાં પણ આ નગર ઘણું આગળ વધ્યું. અહીંના વેપારીઓ કઠોળ, તેલીબિયાં, જીરુ, રાયડો, કપાસ, વગેરે જેવી આસપાસના પ્રદેશમાં પાકતી કૃષિ પેદાશોનો મોટો વેપાર કરતા હતા. કૃષિ પેદાશો પર આધારિત ત્રણ મોટા ઉદ્યોગો પણ અહીં ઊભા થયા. તેલીબિયાં પીલીને તેમાથી તેલ કાઢવાનો ઘાણી ઉધોગ શરુમાં બળદ-ઘાણી અને પછી ઓઇલ એન્જિન તથા વીજળિક મોટરથી ખૂબ વિકસ્યો. ડાંગર છડીને ચોખા અને કઠોળની દાળ તૈયાર કરવા માટે પણ 'રાઇસ એન્ડ પલ્સ' મિલો ઊભી થઈ. અને તેવી જ રીતે, કપાસ પીલીને રુની ગાંસડીઓ તૈયાર કરવાની જિનિંગ ફેક્ટરી પણ અહીં બની.

આ એવો સમય હતો કે, જ્યારે અહીં પેદા થતો માલ-સામાન બહાર મોકલવા માટે જોઇતાં રેલ્વેનાં વેગનો મેળવવા વેપારીઓ પડાપડી કરતા અને રેલ્વે ગોદામ રાત-દિવસ પ્રવૃત્તિથી ધમધમતું રહેતું હતું.

એ ન ભૂલવું જોઇએ કે, વીસમી સદીનાં પ્રથમ પચાસ વર્ષો દરમિયાન નગરમાં વેપાર અને ઉદ્યોગને લગતી આ બધી પ્રવૃત્તીઓ ઊભી થઈ અને તેમનો ઝડપી વિકાસ થયો તેમાં રેલ્વે અને વીજળીની ઉપલબ્ધિએ અમૂલ્ય ફાળો આપ્યો.

[રેલ્વે સ્ટેશનની જુની છબીઓ અને દસ્તાવેજ શ્રી અમૃતભાઇ પટેલના સૌજન્યથી પ્રાપ્ત થયેલાં છે.]


મોઢેરાનું સૂર્યમંદિર

સન ૧૦૨૫-૨૬ માં બંધાયેલું, મોઢેરાનું સૂર્ય મંદિર વડનગરના સૂર્ય મંદિર કરતાં ઘણું વિશાળ છે. વલી, તે ઘણી સારી સ્થિતિમાં જળવાયેલું છે. બંને મંદિરોમાંથી સૂર્યની મુખ્ય પ્રતિમાઓ ગાયબ થઈ ગયેલી છે. નિર્વિવાદરુપે મોઢેરાનું મંદિર વડનગરના મંદિર પછી બનેલું છે.




મોઢેરાનું સૂર્ય મંદિર ત્રણ અલગ અલગ હિસ્સાઓનું બનેલું છે. સમગ્ર સંકુલ પૂર્વાભિમુખ છે અને પૂર્વથી પશ્ચિમ દિશામાં વિસ્તરેલું છે. પૂર્વમાં સૌથી પહેલાં વિશાળ સૂર્ય કુંડ છે. તેની લંબાઇ ૫૩.૬ મીટર અને પહોળાઇ ૩૬.૬ મીટર છે. આ સમકોણીય કુંડ વિભૂષિત શિલ્પોથી ભરપૂર પગથિયાંવાળી દિવાલોનો બનેલો છે. સૂર્ય કુંડ સ્વચ્છ પાણીથી ભરેલો રહેતો હતો. સવારમાં ઉગતા સૂર્યનાં સોનેરી કિરણોના પ્રકાશમાં ઝગમગાતું ભવ્ય મંદિર અને તેનું વિશાળ કુંડમાં દેખાતું ઝિલમિલ પ્રતિબિંબ, પૂર્વમાંથી આવતા કોઇ પણ મુલાકાતીના સામે એક અદભૂત દૃષ્ય સર્જતું હશે.



આ સંકુલનો બીજો હિસ્સો છે સભા મંડપ. અહીં વિભિન્ન પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ, પ્રાર્થના, નૃત્ય અને સંગીતની સભાઓ થતી હશે. સૂર્ય મંદિરના સમગ્ર સંકુલમાં સભા મંડપ બારિક અલંકૃત શિલ્પોથી સૌથી વધારે પ્રચૂર છે. અહીં પ્રત્યેક શિલ્પ એટલું તો સુંદર છે કે તેમના શિલ્પકારોના કળા-કૌશલ્ય વિષે આશ્ચર્ય થાય છે. રેતીલા પત્થરોમાં આટલું બારિક અને જીવંત શિલ્પ વિશ્વના અન્ય કોઇ સ્થળે જોવા મળતું નથી. આખો સભા મંડપ એક સંપૂર્ણ સંતુલિત રચના છે. વિશ્વમાં પત્થરો વડે બનેલાં જે કંઇ શ્રેષ્ઠ સર્જનો જોવા મળે છે, તેમાં આ સૂર્ય મંદિરનો સભા મંડપ ગર્વ લઈ શકાય તેટલું ઊંચું સ્થાન ધરાવે છે.



આ સંકુલનો ત્રીજો હિસ્સો સૂર્યનું મંદિર સ્વયં છે. સૂર્ય મંદિરના બે ભાગ છે - ગર્ભ ગૃહ અને ગૂઢ મંડપ. ગર્ભ ગૃહમાં સૂર્યની પ્રતિમા સ્થપાયેલી હતી.



આ સંકુલનો ત્રીજો હિસ્સો સૂર્યનું મંદિર સ્વયં છે. સૂર્ય મંદિરના બે ભાગ છે - ગર્ભ ગૃહ અને ગૂઢ મંડપ. ગર્ભ ગૃહમાં સૂર્યની પ્રતિમા સ્થપાયેલી હતી. આખું સૂર્ય મંદિર વિભિન્ન પ્રકારનાં સુંદર શિલ્પોથી ભરેલું છે. તેમાં સૂર્ય દેવની અનેક અલગ અલગ ભંગવાળી પ્રતિમાઓ છે. પરંતુ આ પ્રતિમાઓમાં, ગર્ભ ગૃહના દ્વારની બરાબર ઉપર આવેલી સૂર્યને બેઠેલી મુદ્રામાં દર્શાવતી અગીઆર પ્રતિમાઓ ધ્યાનાકર્ષક છે. સમગ્ર વિશ્વમાં સૂર્યનાં અનેક મંદિરો છે, પરંતુ ક્યાંય પણ સૂર્યને બેઠેલી મુદ્રામાં દર્શાવતી એક પણ પ્રતિમા નથી. વાસ્તવમાં, વિશ્વમાં ક્યાંય પણ સૂર્યનાં આટલાં વૈવિધ્યપૂર્ણ અને સુંદર શિલ્પો જોવા મળતાં નથી.

મોઢેરાના સૂર્ય મંદિર વિષે વિશેષ જાણકારી માટે જુઓઃ
૧. સૂર્ય મંદિર મોઢેરા (વિજય એમ મિસ્ત્રી, કેતન એમ. મિસ્ત્રી, અને મણીભાઇ મિસ્ત્રી દ્વારા નિર્મિત તથા ધીરુ મિસ્ત્રી અને ઋષિ રાજ મિસ્ત્રી દ્વારા દિગ્દર્શિત એક અત્યંત સુંદર ડૉક્યુમેન્ટરી)
૨. મોઢેરા, લેખકઃ મણીલાલ મૂળચંદ મિસ્ત્રી (સયાજી બાળ જ્ઞાનમાળા, ૧૯૩૫ દ્વારા પ્રકાશિત એક આધિકારિક પુસ્તક)




લોથલ

મોહેં-જો-દરો અને હરપ્પા પછી, સિંધુ સભ્યતાનું શોધી કાઢવામાં આવેલું ત્રીજું સૌથી મોટું નગર છે લોથલ. તે ભારતના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરથી ૮૩ કિલો મીટર (૫૩ માઇલ) દૂર દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે. સન ૧૯૫૫ થી ૧૯૬૨ નાં વર્ષોમાં તે આર્કીઓલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા દ્વારા વિખ્યાત પુરાતત્ત્વવિદ ડૉ. એસ. આર. રાવના નેતૃત્વમાં શોધી કાઢવામાં આવ્યું હતું.


સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓની સાથે ડૉ. એસ. આર. રાવ, ૧૯૬૧



ઇસવીસન પૂર્વે ૨,૫૦૦ થી ૧,૯૦૦ નાં વર્ષોમાં લોથલ એક વિકસિત બંદરી શહેર હતું. તે પહોળા પટવાળી સાબરમતી નદી દ્વારા ખંભાતની ખાડીથી અરબી સમુદ્ર સાથે જોડાયેલું એક સંરક્ષિત બંદર હતું. તે દિવસોમાં, લોથલથી નદીને રસ્તે પશ્ચિમ ભારતમાં આવેલાં અન્ય કેટલાંયે નગરો સુધી પહોંચી શકાતું હતું. આને કારણે લોથલનું વ્યાપારી મહત્ત્વ ઘણું વધી ગયું હતું. તે વખતે, તે પશ્ચિમ ભારતમાંથી લાવેલી અનેક પ્રકારની ચીજ-વસ્તુઓ અરબી સમુદ્રના માર્ગે બહારની દુનિયાના દેશોમાં નિર્યાત કરતું હતું. અને તે દેશોમાંથી વિધવિધ ચીજોની અહીં આયાત કરતું હતું.



સન ૧૯૫૫ માં શરુ થયેલા પુરાતત્ત્વીય ઉત્ખનનના આરંભમાં જ અહીં એક સાથે ઘણાં મોટાંમોટાં વહાણો લાંગરી શકે તેવો મોટો જહાજવાડો મળી આવ્યો. આ જહાજવાડો ઉચ્ચ ગુણવત્તાવાળી પાકી ઇંટો વડે બનાવવામાં આવ્યો હતો. અને તે વિભિન્ન ઋતુઓના ફેરફાર, પાણીનું વહેણ, અને માલ-સામાનની હેરાફેરીથી થતા ઘસારાને સારી રીતે સહન કરી શકે તેવી ક્ષમતા ધરાવતો હતો. આ જહાજવાડાનું સૌથી વિશિષ્ટ લક્ષણ તેની પાણી નિયંત્રિત કરવાની વ્યવસ્થા હતું. એકવાર વહાણ જહાજવાડાની અંદર આવી જાય, ત્યારબાદ આ વ્યવસ્થાને કારણે તે સમુદ્રની ભરતી તેમજ ઓટ અને નદીના પુરની સામે એકદમ સુરક્ષિત થઈ જતું. જહાજવાડા સાથે જોડાતી નહેર અને જહાજવાડાની વચ્ચે આવેલા નાળાને ખોલવા અને બંધ કરવાની વ્યવસ્થાને કારણે આ શક્ય બનતું હતું. અત્યારસુધીમાં, પુરાતત્ત્વવિદોને વિશ્વમાં કોઇ પણ જગ્યાએથી આજથી ચાર હજાર વર્ષ પહેલાં બનાવવામાં આવેલી આવી ઇજનેરી વ્યવસ્થાનો નમૂનો પ્રાપ્ત થયો નથી.


અત્યારે તો જહાજવાડામાં વરસાદી પાણી ભરાય છે. ખંભાતની ખાડી તો અહીંથી ઘણે દૂર ચાલી ગઈ છે. પરંતુ એક જમાનામાં આ જહાજવાડામાં આવાં વહાણો આવતાં-જતાં હશે અને લોથલનો વ્યાપાર દુનિયાનાં અન્ય બંદરો સાથે તેમની મારફતે ચાલતો હશે.



સમકાલિન પુરાતત્ત્વીય ઉત્ખનન

સન ૧૯૫૩-૫૪ માં, વડનગરમાં પ્રથમ પુરાતત્ત્વીય ઉત્ખનન વડોદરા યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદ ડી. સુબ્બા રાવ અને આર. એન. મહેતાએ કર્યું. તે વખતે આ લેખકને તેમના હાથ નીચે બે મહિના સુધી સહાયક તરીકે ઉત્ખનન સ્થળ પર કાર્ય કરવાની તક મળી હતી. ઉત્ખનનનું કાર્ય સમાપ્ત થયું તેના થોડા સમય પહેલાં, સુબ્બા રાવે નવીન સર્વ વિદ્યાલયના વાર્ષિક અંક, કે જેના આ લેખક તંત્રી હતા, માટે તે ઉત્ખનન ઉપર એક લેખ લખી આપ્યો હતો. ત્યારબાદ, તેમણે ઉત્ખનન ઉપર વિદ્યાલયમાં એક વિષદ વક્તવ્ય પણ આપ્યું હતું. તે વખતે તેમનું કહેવું હતું કે, આ નગર ૨,૫૦૦ વર્ષ પહેલાં પણ આ જ જગ્યાએ અસ્તિત્વમાં હતું તેની તેમને પૂરતી સાબિતીઓ મળી આવી છે. તેમણે એમ પણ પ્રતિપાદિત કર્યું કે, આ સ્થળનું હરપ્પા સંસ્કૃતિ સાથે અનુસંધાન હતું. તેમની અવધારણામાં "આ નગરની શરુઆત એક હરપ્પા વસાહતના રુપમાં થયાની સંભાવના છે." એ જે હોય તે, અત્યારસુધી આ અવધારણાની નિશ્ચિત રુપમાં પુષ્ટિ કરી શકે તેવાં નક્કર પ્રમાણ મળ્યાં નથી. પરંતુ તે જાતના પુરાવાઓ મેળવવા માટે વિસ્તૃત સંશોધન આવશ્યક છે; અને તેવું સંશોધન હજી સુધી થઈ શક્યું નથી.



સન ૨૦૦૭ થી ગુજરાત રાજ્યના મુખ્ય પુરાતત્ત્વવિદ યદુવીરસિંહ રાવતની આગેવાની નીચે ચાલી રહેલા વર્તમાન ઉત્ખનનમાંથી એવા અવશેષો બહાર નિકળી રહ્યા છે કે, જેનાથી સાબિત થઈ ગયું છે કે આ નગર ભારતમાં બૌધ્ધ ધર્મના પ્રસારના સમયનું સમકાલિન હતું. અર્થાત્, ઉત્ખનનમાંથી મળેલા નક્કર પુરાવાઓ નગરને ઓછામાં ઓછું ઇસવીસનના પ્રથમ શતક જેટલું પ્રાચીન સાબિત કરવામાં સફળ થયા છે. ઇસવીસનની બીજી સદીમાં, વડનગર, કે જે તે વખતે 'આનંદપુર' ના નામથી જાણીતું હતું તે, બૌધ્ધ ધર્મનું એક જીવંત કેન્દ્ર હતું તેવું પ્રમાણ પ્રવર્તમાન ઉત્ખનનમાંથી નીકળેલા બૌધ્ધ વિહાર અને સ્તુપના અવશેષો આપી રહ્યા છે. એવું પણ બની શકે કે, આ ઉત્ખનન આગળ વધ્યા બાદ એવાં પ્રમાણ પણ મળી આવે કે જે આ નગરને આનાથી પણ વધારે પ્રાચીન પ્રતિપાદિત કરે અને સુબ્બા રાવની અવધારણાને વાસ્તવિકતામાં બદલી નાંખે.



ગુજરાત રાજ્યનો પુરાતત્ત્વ વિભાગ ૨૦૦૭ની સાલથી વડનગરમાં નગરના કિલ્લાની દક્ષિણી દિવાલના બહારના ભાગમાં ખોદકામ કરી રહ્યો છે. જો કે, હજુ સુધી આ ખોદકામ બહુ મોટા વિસ્તારમાં કરવામાં આવ્યું નથી, તેમ છતાં અહીંથી જે પુરાવાઓ મળ્યા છે તે એટલું તો સાબિત કરવા માટે પૂરતા છે કે આ નગર ખરેખર ખૂબ પ્રાચીન છે. ઇસવીસનના બીજા શતકમાં બનેલો એક બૌધ્ધ વિહારનો ૧૮ x ૧૮ મીટરના બાંધકામવાળો ભાગ મળી આવ્યો છે, કે જે બૌધ્ધ સાધુઓ માટે રહેવાના ૧૨ નાના-નાના ઓરડાનો બનેલો છે. આ સ્થળે રાવતની ટૂકડીએ જે કંઇ ઉત્ખનન કર્યું છે તેની દેશ-વિદેશના પુરાતત્ત્વવિદો અને બૌધ્ધ-નિષ્ણાતોએ તપાસ કર્યા બાદ, એ વાતની પુષ્ટિ કરી છે કે અહીં વાસ્તવમાં બૌધ્ધ વિહાર અને સ્તુપ હતા. સાતમી સદીમાં વડનગર, કે જે તે વખતે 'આનંદપુર' કહેવાતું હતું, આવેલા ચીની યાત્રી હ્યુએન-સંગે પોતાની યાત્રા-પોથીમાં લખ્યું છે કે, આ નગરમાં લગભગ દસ સંઘારામ હતા અને ત્યાં એક હજાર જેટલા બૌધ્ધ સાધુઓ રહેતા હતા. વર્તમાન ખોદકામથી મળી આવેલા બૌધ્ધ વિહાર અને સ્તુપના અવશેષો હ્યુએન-સંગની યાત્રા-પોથીમાં લખેલી વાતને એકદમ સાચી સાબિત કરે છે તેટલું જ નહીં, તે તેની યાત્રા-પોથીને પણ સાચી ઠેરવે છે.



અત્યારસુધી આ સ્થળે કરવામાં આવેલા ખોદકામમાંથી વિભિન્ન પ્રકારના બે હજાર કરતાં પણ વધારે પુરાતત્ત્વીય અવશેષો પ્રાપ્ત થયા છે. તેમાં એક બૌધ્ધ પ્રતિમા, નાની-નાની મૂર્તિઓ, ભિક્ષા-પાત્ર, તાંબા અને ચાંદીના સિક્કાઓ, ટેરાકોટ્ટાની બનેલી એક પ્રતિમાનો માથાનો ભાગ, શંખની ચૂડીઓ, રોમન સુરાહી (amphora), ગળાના હારના મણકા, માટીનાં ઉત્તરી કાળા ઓપદાર વાસણ પર બ્રાહ્મી લિપિમાં આંકેલું લખાણ, વગેરે જેવી અનેક ચીજ-વસ્તુઓનો સમાવેશ થાય છે.


શું સાતમી સદીમાં હ્યુએન-સંગની મુલાકાત વખતે આવા બૌધ્ધ વિહાર વડનગરમાં હતા?