મોઢેરાનું સૂર્યમંદિર

સન ૧૦૨૫-૨૬ માં બંધાયેલું, મોઢેરાનું સૂર્ય મંદિર વડનગરના સૂર્ય મંદિર કરતાં ઘણું વિશાળ છે. વલી, તે ઘણી સારી સ્થિતિમાં જળવાયેલું છે. બંને મંદિરોમાંથી સૂર્યની મુખ્ય પ્રતિમાઓ ગાયબ થઈ ગયેલી છે. નિર્વિવાદરુપે મોઢેરાનું મંદિર વડનગરના મંદિર પછી બનેલું છે.




મોઢેરાનું સૂર્ય મંદિર ત્રણ અલગ અલગ હિસ્સાઓનું બનેલું છે. સમગ્ર સંકુલ પૂર્વાભિમુખ છે અને પૂર્વથી પશ્ચિમ દિશામાં વિસ્તરેલું છે. પૂર્વમાં સૌથી પહેલાં વિશાળ સૂર્ય કુંડ છે. તેની લંબાઇ ૫૩.૬ મીટર અને પહોળાઇ ૩૬.૬ મીટર છે. આ સમકોણીય કુંડ વિભૂષિત શિલ્પોથી ભરપૂર પગથિયાંવાળી દિવાલોનો બનેલો છે. સૂર્ય કુંડ સ્વચ્છ પાણીથી ભરેલો રહેતો હતો. સવારમાં ઉગતા સૂર્યનાં સોનેરી કિરણોના પ્રકાશમાં ઝગમગાતું ભવ્ય મંદિર અને તેનું વિશાળ કુંડમાં દેખાતું ઝિલમિલ પ્રતિબિંબ, પૂર્વમાંથી આવતા કોઇ પણ મુલાકાતીના સામે એક અદભૂત દૃષ્ય સર્જતું હશે.



આ સંકુલનો બીજો હિસ્સો છે સભા મંડપ. અહીં વિભિન્ન પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ, પ્રાર્થના, નૃત્ય અને સંગીતની સભાઓ થતી હશે. સૂર્ય મંદિરના સમગ્ર સંકુલમાં સભા મંડપ બારિક અલંકૃત શિલ્પોથી સૌથી વધારે પ્રચૂર છે. અહીં પ્રત્યેક શિલ્પ એટલું તો સુંદર છે કે તેમના શિલ્પકારોના કળા-કૌશલ્ય વિષે આશ્ચર્ય થાય છે. રેતીલા પત્થરોમાં આટલું બારિક અને જીવંત શિલ્પ વિશ્વના અન્ય કોઇ સ્થળે જોવા મળતું નથી. આખો સભા મંડપ એક સંપૂર્ણ સંતુલિત રચના છે. વિશ્વમાં પત્થરો વડે બનેલાં જે કંઇ શ્રેષ્ઠ સર્જનો જોવા મળે છે, તેમાં આ સૂર્ય મંદિરનો સભા મંડપ ગર્વ લઈ શકાય તેટલું ઊંચું સ્થાન ધરાવે છે.



આ સંકુલનો ત્રીજો હિસ્સો સૂર્યનું મંદિર સ્વયં છે. સૂર્ય મંદિરના બે ભાગ છે - ગર્ભ ગૃહ અને ગૂઢ મંડપ. ગર્ભ ગૃહમાં સૂર્યની પ્રતિમા સ્થપાયેલી હતી.



આ સંકુલનો ત્રીજો હિસ્સો સૂર્યનું મંદિર સ્વયં છે. સૂર્ય મંદિરના બે ભાગ છે - ગર્ભ ગૃહ અને ગૂઢ મંડપ. ગર્ભ ગૃહમાં સૂર્યની પ્રતિમા સ્થપાયેલી હતી. આખું સૂર્ય મંદિર વિભિન્ન પ્રકારનાં સુંદર શિલ્પોથી ભરેલું છે. તેમાં સૂર્ય દેવની અનેક અલગ અલગ ભંગવાળી પ્રતિમાઓ છે. પરંતુ આ પ્રતિમાઓમાં, ગર્ભ ગૃહના દ્વારની બરાબર ઉપર આવેલી સૂર્યને બેઠેલી મુદ્રામાં દર્શાવતી અગીઆર પ્રતિમાઓ ધ્યાનાકર્ષક છે. સમગ્ર વિશ્વમાં સૂર્યનાં અનેક મંદિરો છે, પરંતુ ક્યાંય પણ સૂર્યને બેઠેલી મુદ્રામાં દર્શાવતી એક પણ પ્રતિમા નથી. વાસ્તવમાં, વિશ્વમાં ક્યાંય પણ સૂર્યનાં આટલાં વૈવિધ્યપૂર્ણ અને સુંદર શિલ્પો જોવા મળતાં નથી.

મોઢેરાના સૂર્ય મંદિર વિષે વિશેષ જાણકારી માટે જુઓઃ
૧. સૂર્ય મંદિર મોઢેરા (વિજય એમ મિસ્ત્રી, કેતન એમ. મિસ્ત્રી, અને મણીભાઇ મિસ્ત્રી દ્વારા નિર્મિત તથા ધીરુ મિસ્ત્રી અને ઋષિ રાજ મિસ્ત્રી દ્વારા દિગ્દર્શિત એક અત્યંત સુંદર ડૉક્યુમેન્ટરી)
૨. મોઢેરા, લેખકઃ મણીલાલ મૂળચંદ મિસ્ત્રી (સયાજી બાળ જ્ઞાનમાળા, ૧૯૩૫ દ્વારા પ્રકાશિત એક આધિકારિક પુસ્તક)




લોથલ

મોહેં-જો-દરો અને હરપ્પા પછી, સિંધુ સભ્યતાનું શોધી કાઢવામાં આવેલું ત્રીજું સૌથી મોટું નગર છે લોથલ. તે ભારતના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરથી ૮૩ કિલો મીટર (૫૩ માઇલ) દૂર દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે. સન ૧૯૫૫ થી ૧૯૬૨ નાં વર્ષોમાં તે આર્કીઓલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા દ્વારા વિખ્યાત પુરાતત્ત્વવિદ ડૉ. એસ. આર. રાવના નેતૃત્વમાં શોધી કાઢવામાં આવ્યું હતું.


સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓની સાથે ડૉ. એસ. આર. રાવ, ૧૯૬૧



ઇસવીસન પૂર્વે ૨,૫૦૦ થી ૧,૯૦૦ નાં વર્ષોમાં લોથલ એક વિકસિત બંદરી શહેર હતું. તે પહોળા પટવાળી સાબરમતી નદી દ્વારા ખંભાતની ખાડીથી અરબી સમુદ્ર સાથે જોડાયેલું એક સંરક્ષિત બંદર હતું. તે દિવસોમાં, લોથલથી નદીને રસ્તે પશ્ચિમ ભારતમાં આવેલાં અન્ય કેટલાંયે નગરો સુધી પહોંચી શકાતું હતું. આને કારણે લોથલનું વ્યાપારી મહત્ત્વ ઘણું વધી ગયું હતું. તે વખતે, તે પશ્ચિમ ભારતમાંથી લાવેલી અનેક પ્રકારની ચીજ-વસ્તુઓ અરબી સમુદ્રના માર્ગે બહારની દુનિયાના દેશોમાં નિર્યાત કરતું હતું. અને તે દેશોમાંથી વિધવિધ ચીજોની અહીં આયાત કરતું હતું.



સન ૧૯૫૫ માં શરુ થયેલા પુરાતત્ત્વીય ઉત્ખનનના આરંભમાં જ અહીં એક સાથે ઘણાં મોટાંમોટાં વહાણો લાંગરી શકે તેવો મોટો જહાજવાડો મળી આવ્યો. આ જહાજવાડો ઉચ્ચ ગુણવત્તાવાળી પાકી ઇંટો વડે બનાવવામાં આવ્યો હતો. અને તે વિભિન્ન ઋતુઓના ફેરફાર, પાણીનું વહેણ, અને માલ-સામાનની હેરાફેરીથી થતા ઘસારાને સારી રીતે સહન કરી શકે તેવી ક્ષમતા ધરાવતો હતો. આ જહાજવાડાનું સૌથી વિશિષ્ટ લક્ષણ તેની પાણી નિયંત્રિત કરવાની વ્યવસ્થા હતું. એકવાર વહાણ જહાજવાડાની અંદર આવી જાય, ત્યારબાદ આ વ્યવસ્થાને કારણે તે સમુદ્રની ભરતી તેમજ ઓટ અને નદીના પુરની સામે એકદમ સુરક્ષિત થઈ જતું. જહાજવાડા સાથે જોડાતી નહેર અને જહાજવાડાની વચ્ચે આવેલા નાળાને ખોલવા અને બંધ કરવાની વ્યવસ્થાને કારણે આ શક્ય બનતું હતું. અત્યારસુધીમાં, પુરાતત્ત્વવિદોને વિશ્વમાં કોઇ પણ જગ્યાએથી આજથી ચાર હજાર વર્ષ પહેલાં બનાવવામાં આવેલી આવી ઇજનેરી વ્યવસ્થાનો નમૂનો પ્રાપ્ત થયો નથી.


અત્યારે તો જહાજવાડામાં વરસાદી પાણી ભરાય છે. ખંભાતની ખાડી તો અહીંથી ઘણે દૂર ચાલી ગઈ છે. પરંતુ એક જમાનામાં આ જહાજવાડામાં આવાં વહાણો આવતાં-જતાં હશે અને લોથલનો વ્યાપાર દુનિયાનાં અન્ય બંદરો સાથે તેમની મારફતે ચાલતો હશે.



સમકાલિન પુરાતત્ત્વીય ઉત્ખનન

સન ૧૯૫૩-૫૪ માં, વડનગરમાં પ્રથમ પુરાતત્ત્વીય ઉત્ખનન વડોદરા યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદ ડી. સુબ્બા રાવ અને આર. એન. મહેતાએ કર્યું. તે વખતે આ લેખકને તેમના હાથ નીચે બે મહિના સુધી સહાયક તરીકે ઉત્ખનન સ્થળ પર કાર્ય કરવાની તક મળી હતી. ઉત્ખનનનું કાર્ય સમાપ્ત થયું તેના થોડા સમય પહેલાં, સુબ્બા રાવે નવીન સર્વ વિદ્યાલયના વાર્ષિક અંક, કે જેના આ લેખક તંત્રી હતા, માટે તે ઉત્ખનન ઉપર એક લેખ લખી આપ્યો હતો. ત્યારબાદ, તેમણે ઉત્ખનન ઉપર વિદ્યાલયમાં એક વિષદ વક્તવ્ય પણ આપ્યું હતું. તે વખતે તેમનું કહેવું હતું કે, આ નગર ૨,૫૦૦ વર્ષ પહેલાં પણ આ જ જગ્યાએ અસ્તિત્વમાં હતું તેની તેમને પૂરતી સાબિતીઓ મળી આવી છે. તેમણે એમ પણ પ્રતિપાદિત કર્યું કે, આ સ્થળનું હરપ્પા સંસ્કૃતિ સાથે અનુસંધાન હતું. તેમની અવધારણામાં "આ નગરની શરુઆત એક હરપ્પા વસાહતના રુપમાં થયાની સંભાવના છે." એ જે હોય તે, અત્યારસુધી આ અવધારણાની નિશ્ચિત રુપમાં પુષ્ટિ કરી શકે તેવાં નક્કર પ્રમાણ મળ્યાં નથી. પરંતુ તે જાતના પુરાવાઓ મેળવવા માટે વિસ્તૃત સંશોધન આવશ્યક છે; અને તેવું સંશોધન હજી સુધી થઈ શક્યું નથી.



સન ૨૦૦૭ થી ગુજરાત રાજ્યના મુખ્ય પુરાતત્ત્વવિદ યદુવીરસિંહ રાવતની આગેવાની નીચે ચાલી રહેલા વર્તમાન ઉત્ખનનમાંથી એવા અવશેષો બહાર નિકળી રહ્યા છે કે, જેનાથી સાબિત થઈ ગયું છે કે આ નગર ભારતમાં બૌધ્ધ ધર્મના પ્રસારના સમયનું સમકાલિન હતું. અર્થાત્, ઉત્ખનનમાંથી મળેલા નક્કર પુરાવાઓ નગરને ઓછામાં ઓછું ઇસવીસનના પ્રથમ શતક જેટલું પ્રાચીન સાબિત કરવામાં સફળ થયા છે. ઇસવીસનની બીજી સદીમાં, વડનગર, કે જે તે વખતે 'આનંદપુર' ના નામથી જાણીતું હતું તે, બૌધ્ધ ધર્મનું એક જીવંત કેન્દ્ર હતું તેવું પ્રમાણ પ્રવર્તમાન ઉત્ખનનમાંથી નીકળેલા બૌધ્ધ વિહાર અને સ્તુપના અવશેષો આપી રહ્યા છે. એવું પણ બની શકે કે, આ ઉત્ખનન આગળ વધ્યા બાદ એવાં પ્રમાણ પણ મળી આવે કે જે આ નગરને આનાથી પણ વધારે પ્રાચીન પ્રતિપાદિત કરે અને સુબ્બા રાવની અવધારણાને વાસ્તવિકતામાં બદલી નાંખે.



ગુજરાત રાજ્યનો પુરાતત્ત્વ વિભાગ ૨૦૦૭ની સાલથી વડનગરમાં નગરના કિલ્લાની દક્ષિણી દિવાલના બહારના ભાગમાં ખોદકામ કરી રહ્યો છે. જો કે, હજુ સુધી આ ખોદકામ બહુ મોટા વિસ્તારમાં કરવામાં આવ્યું નથી, તેમ છતાં અહીંથી જે પુરાવાઓ મળ્યા છે તે એટલું તો સાબિત કરવા માટે પૂરતા છે કે આ નગર ખરેખર ખૂબ પ્રાચીન છે. ઇસવીસનના બીજા શતકમાં બનેલો એક બૌધ્ધ વિહારનો ૧૮ x ૧૮ મીટરના બાંધકામવાળો ભાગ મળી આવ્યો છે, કે જે બૌધ્ધ સાધુઓ માટે રહેવાના ૧૨ નાના-નાના ઓરડાનો બનેલો છે. આ સ્થળે રાવતની ટૂકડીએ જે કંઇ ઉત્ખનન કર્યું છે તેની દેશ-વિદેશના પુરાતત્ત્વવિદો અને બૌધ્ધ-નિષ્ણાતોએ તપાસ કર્યા બાદ, એ વાતની પુષ્ટિ કરી છે કે અહીં વાસ્તવમાં બૌધ્ધ વિહાર અને સ્તુપ હતા. સાતમી સદીમાં વડનગર, કે જે તે વખતે 'આનંદપુર' કહેવાતું હતું, આવેલા ચીની યાત્રી હ્યુએન-સંગે પોતાની યાત્રા-પોથીમાં લખ્યું છે કે, આ નગરમાં લગભગ દસ સંઘારામ હતા અને ત્યાં એક હજાર જેટલા બૌધ્ધ સાધુઓ રહેતા હતા. વર્તમાન ખોદકામથી મળી આવેલા બૌધ્ધ વિહાર અને સ્તુપના અવશેષો હ્યુએન-સંગની યાત્રા-પોથીમાં લખેલી વાતને એકદમ સાચી સાબિત કરે છે તેટલું જ નહીં, તે તેની યાત્રા-પોથીને પણ સાચી ઠેરવે છે.



અત્યારસુધી આ સ્થળે કરવામાં આવેલા ખોદકામમાંથી વિભિન્ન પ્રકારના બે હજાર કરતાં પણ વધારે પુરાતત્ત્વીય અવશેષો પ્રાપ્ત થયા છે. તેમાં એક બૌધ્ધ પ્રતિમા, નાની-નાની મૂર્તિઓ, ભિક્ષા-પાત્ર, તાંબા અને ચાંદીના સિક્કાઓ, ટેરાકોટ્ટાની બનેલી એક પ્રતિમાનો માથાનો ભાગ, શંખની ચૂડીઓ, રોમન સુરાહી (amphora), ગળાના હારના મણકા, માટીનાં ઉત્તરી કાળા ઓપદાર વાસણ પર બ્રાહ્મી લિપિમાં આંકેલું લખાણ, વગેરે જેવી અનેક ચીજ-વસ્તુઓનો સમાવેશ થાય છે.


શું સાતમી સદીમાં હ્યુએન-સંગની મુલાકાત વખતે આવા બૌધ્ધ વિહાર વડનગરમાં હતા?




શર્મિષ્ઠા

પ્રાચીન સમયમાં શર્મિષ્ઠા એક પ્રાકૃતિક સરોવર હતું. તે કપિલા નદીના પાણીથી ભરેલું રહેતું હતું. આજથી ૪,૫૦૦ વર્ષ પૂર્વે, તેના દક્ષિણ-પૂર્વ કિનારા પર પ્રથમ માનવ વસાહત શરુ થઈ હતી. કેટલીક સદીઓ બાદ, આ વસાહતનો વિકાસ થતાં ત્યાં એક નગર જ વસી ગયું. સરોવરના કિનારા પત્થરોથી બાંધવામાં આવ્યા. તેમાં આવતા પાણીને નિયંત્રિત કરવા માટે ઉત્તર દિશામાં પત્થરનો એક મોટો કુંડ બાંધવામાં આવ્યો. કપિલા નદીનું પાણી પહેલાં કુંડના પૂર્વાભિમુખ દ્વારમાં વહેવડવવામાં આવતું હતું. કુંડમાં ભરાતા પાણીને તેના દક્ષિણના દ્વારેથી સરોવરમાં જવા દેવામાં આવતું હતું. જરુર પ્રમાણે આ દ્વાર ખોલ-બંધ કરી શકાતાં હતાં, તેથી સરોવરમાં માપસરનું પાણી ભરી શકાતું હતું. આ જાતની ઇજનેરી રચનાને કારણે વર્ષા ઋતુમાં જ્યારે કપિલામાં પાણીનું વહેણ ખૂબ વધી જતું, ત્યારે તેની તેજ ગતિ સરોવરના ઓવારઓને કોઇ જાતનું નુકસાન પહોંચાડી શકતી નહોતી અને કિનારા પરનાં મકાનો સુરક્ષિત રહેતાં હતાં. સરોવરમાં પૂરતું પાણી ભરાઇ રહે એટલે કુંડનું દક્ષિણનું દ્વાર બંધ કરી દેવામાં આવતું અને નદીનું વહેણ પશ્ચિમ તરફ ચાલ્યું જતું.

વર્ષા ઋતુ દરમિયાન કદાચ કપિલાના વહેણમાં ઘણા સાપ વહી આવતા હશે અને તેનાં દ્વાર બંધ થઈ જતાં કુંડમાં ફસાઇ જતા હશે. કદાચ આ જ કારણથી આ કુંડનું નામ "નાગધરો" પડ્યું હશે. આજે પણ શ્રાવણ માસમાં નાગપંચમીને દિવસે લોકો અહીં આવીને નાગ-દેવતાની પૂજા-અર્ચના કરે છે અને તે દિવસે અહીં મોટો મેળો પણ ભરાય છે.

શર્મિષ્ઠા સરોવરનું આખું સંકુલ - સરોવર, મધ્યમાં આવેલ બેટ, સરોવરના તળિયે ભૂતળમાં પાણી ઉતારવા માટે બનાવેલા કૂવા, પત્થરોથી બાંધેલા કિનારા, નાગધરો, પાણી ભરવા માટેનાં દ્વાર, વધારાનું પાણી બહાર વહેવડાવી દેવા માટેનો રસ્તો, અને કપિલામાંથી કાઢેલી નહેર - આ નગરના પ્રાચીન સમયના સ્થપતિઓના ઉચ્ચ કૌશલ્યનો અપ્રતિમ નમૂનો છે. જ્યારે સરોવરમાં પાણી ભરેલું હોય છે ત્યારે તેના તળિયે દક્ષિણ-પશ્ચિમ દિશાએ બનાવેલા કૂવા દેખાતા નથી. આ કૂવાઓ દ્વારા જમીનમાં જે પાણી ઉતરે છે તેનાથી ભૂગર્ભમાં ઝરણાં ઉત્પન્ન થાય છે. આ ઝરણાંઓને લઈને નગરમાં આવેલા સંખ્યાબંધ કૂવાઓ શુધ્ધ પાણીથી ભરાયેલા રહેતા હતા. જો કોઇ વરસે વરસાદ ઓછો થતો અથવા બિલકુલ ન થતો, તો પણ સરોવરની અંદર આવેલા આ કૂવા તેમાં ભરપૂર રીતે ઉતરેલા પાણીને કારણે ભરેલા રહેતા હતા અને નગરના લોકોની પાણીની જરુરિયાત સંતોષતા.



આજે તો શર્મિષ્ઠાનું સમગ્ર પ્રાચીન સરોવર-સંકુલ બિસમાર હાલતમાં છે. તેના સુંદર કોતરણીવાળા પત્થરોથી બાંધેલા પાકા ઓવારા અદૃષ્ય થઈ ગયા છે. પાછલાં પચાસેક વર્ષોમાં આ અમૂલ્ય પ્રાચીન પત્થરો કદાચ ચોરાઇને પ્રાચીન ચીજ-વસ્તુઓના સંગ્રહકારોના હાથમાં ચાલ્યા ગયા હશે. તાજેતરનાં વર્ષોમાં તેના દક્ષિણ-પશ્ચિમ કિનારાના થોડા ભાગમાં ઉતાવળે કરવામાં આવેલું આધુનિક બાંધકામ સરોવરની પ્રાચીનતાને અનુરુપ નથી લાગતું. વળી, તે ટકાઉ પણ સાબિત નથી થયું.

આવશ્યકતા તો એ વાતની છે કે, આખા સરોવર-સંકુલ વિષે પૂરેપૂરો વિચાર કરીને તેની પ્રાચીનતા જળવાય તેવી રીતે પુનઃ નિર્માણનું કાર્ય કરવામાં આવે. આ માટે પ્રાચીન શૈલીના શિલ્પકામના નિષ્ણાત કારીગરો અને સ્થપતિઓને જવાબદારી સોંપવી જોઇએ. અદ્વિતિય પુરાતત્વીય મહત્વ ધરાવતાં સ્થળોના પુનઃનિર્માણ માટેની વિશ્વનાં અન્ય સ્થળોએ સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલી યોજનાઓમાંથી આપણે ઘણું શીખી શકીએ. એ ન ભૂલવું જોઇએ કે શર્મિષ્ઠાએ નગરને જન્મ આપ્યો અને આજે પણ તે જ નગરનું હાર્દ છે.



શર્મિષ્ઠાની સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. મહાભારતમાં યયાતિની જે કથા કહેવાઇ છે અને તેમાં જે સરોવરની વાત આવે છે, તે જ શું આ શર્મિષ્ઠા છે?
અર્જુનબારી દરવાજો

છ દરવાજા

સન ૧૧૫૨ માં સોળંકી નરેશ કુમારપાળે બંધાવેલો છ દરવાજાવાળો એક રક્ષણાત્મક કિલ્લો આખા જુના નગરની આસપાસ હતો. શર્મિષ્ઠા સરોવરના તટ પર પૂર્વ દિશા સંમુખ સ્થિત અર્જુનબારી દરવાજા પર લગાવવામાં આવેલી પત્થરમાં કોતરેલી તકતીઓ પરનું લખાણ આ બાબતનું પ્રમાણ પૂરુ પાડે છે. આજે તો કિલ્લાની મોટા ભાગની દિવાલ નષ્ટ થઈ ચૂકી છે, પરંતુ છમાંથી પાંચ ભવ્ય દરવાજા લગભગ અખંડ ઊભા છે. દરેક હયાત દરવાજો જુદી જુદી પરિકલ્પના (ડિઝાઇન) માં બનાવવામાં આવ્યો છે. આ ઉચ્ચ કક્ષાની કારીગરીના અમૂલ્ય નમૂના છે.



દરવાજાઓની દિવાલો પર ઠેર ઠેર વેરાયેલાં કેટલાંયે સુંદર શિલ્પો છે. જેમ ખાજુરાહો અને અન્ય કેટલાંક સ્થળોએ જોવા મળે છે, તેમ અહીં પણ કેટલાંક રોમાંચભર્યાં કમનિય શિલ્પ નજરે પડે છે. આ ઘણા નાના કદમાં ઊંચે લગાડેલાં છે. પરંતુ, આવી સાર્વજનિક જગ્યાઓ પર આવાં શિલ્પો હોવાં તે હકીકત, એ બાબતનું પ્રમાણ છે કે મનુષ્યમાં રહેલી કામ-વૃત્તિને તે જમાનામાં ખુલ્લા મનથી જોવામાં આવતી હતી.



નદીઓળ દરવાજો, જેનો શબ્દશઃ અર્થ 'નદી તરફનો દરવાજો' થાય છે, કંઇક સારી સ્થિતિમાં રહ્યો છે. તેના ઉપર જે શિલ્પો છે, તે બધાથી વધારે સુંદર છે.


સોલંકી શાસક

ત્રણ સદીઓ કરતાં પણ વધારે સમય સુધી સોલંકી શાસકોએ વડનગરના ઇતિહાસમાં મહત્વની ભૂમિકા ભજવી. સન ૯૪૨ માં મૂળરાજે ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કરી અને તેણે માળવાના શાસકોને વડનગર અને તેની આસપાસના પ્રદેશમાંથી હાંકી કાઢ્યા. માળવાના શાસકોએ આ નગરનું ભરપૂર શોષણ કર્યું હતું અને તેને કારણે તે તેની જાહોજલાલી ખોઇ બેઠું હતું. મૂળરાજ સોલંકી ઘણો સક્ષમ શાસક હતો. તેણે સન ૯૪૨ થી ૯૯૫ જેટલી ૫૩ વર્ષની અવધિ સુધી રાજ કર્યું અને ગુજરાતને સ્થિરતા તથા સમૃધ્ધિ પ્રદાન કરી. તેના શાસનની સાથે જ ગુજરાતની રાજધાની પાટણ માટે જ નહીં, પરંતુ વડનગર માટે પણ સુવર્ણયુગની શરુઆત થઈ.



નગરમાં કેટલાંયે નવાં મંદિરો બનાવવામાં આવ્યાં અને પુરાણાં મંદિરોનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. શર્મિષ્ઠાના દક્ષિણ કિનારા પર એક મોટા સુયોજીત બજારે આકર લીધો. પત્થરોથી ઢંકાયેલા પાકા રસ્તા બનાવવામાં આવ્યા. નગરને અન્ય પ્રદેશો સાથે જોડતા રસ્તાઓને કિનારે મુસાફરો માટે કૂવા અને વાવો બાંધવામાં આવી.



આજે વડનગરમાં જેટલાં પણ શિલ્પ દેખાય છે, તેમાંનાં મોટા ભાગનાં સોલંકી યુગમાં બન્યાં હતાં.



વડનગરના સાંસ્કૃતિક અને આર્થિક મૂલ્યની સમજ ધરાવવાને કારણે જ સોલંકી નરેશ કુમારપાળે સન ૧૧૫૨ માં નગરના કિલ્લાનું પુનઃનિર્માણ કરાવીને તેને વધારે મજ્બૂત બનાવ્યો.



લગભગ તેરમી સદીના અંત સુધી આ નગર સોલંકીઓના શાસન નીચે સુરક્ષિત રહ્યું અને તેના વેપાર-ઉદ્યોગની વૃધ્ધિ થતી રહી. સન ૧૨૯૭ માં દિલ્હી સલતનતે ગુજરાત જીતી લીધું. સુલતાનના લશ્કરે વડનગર પર હુમલો કર્યો, તેને લૂંટ્યું, સળગાવ્યું, અને તેના આગેવાન નાગરિકોની કતલ કરી. મજબૂત કિલ્લો કોઇ કામ ન આવ્યો, કેમકે તેનું રક્ષણ કરનાર કોઇ સૈન્ય ત્યાં હતું જ નહીં.


યુનાની અનુસંધાન

ઇસવીસન પૂર્વે ૩૨૬ માં, યુનાનથી નીકળેલો મેસેડોનિયાનો મહાન સિકંદર, કે જે 'એલેક્ઝાંડર ધી ગ્રેટ' ના નામથી પ્રખ્યાત થયો, વિશ્વવિજેતા બનવાની અભિલાષામાં ભારતની સીમા સુધી પહોંચી ગયો. તે સમયમાં, આજના ભારત અને પાકિસ્તાનમાં વહેંચાઇ ગયેલો આખો પંજાબ પ્રદેશ પોરસ નામના રાજાના અધિકાર નીચે હતો. ઝેલમના યુધ્ધમાં સિકંદરે પોરસને પરાજિત કરીને પંજાબથી લઈને ગુજરાતની સીમાઓ સુધી ફેલાયેલો પશ્ચિમ ભારતનો એક મોટો ભાગ પોતાના કબ્જામાં કરી લીધો. હવે, સિકંદરની ઇચ્છા પૂર્વ તરફ આગળ વધવાની હતી. આમ તો, પંજાબ જેવા સીમાવર્તી રાજ્યના પોરસ પાસે ઉત્તર-પૂર્વમાં સ્થિત મગધ નરેશ ચંદ્રગુપ્ત અને તેના જેવા અન્ય શક્તિશાળી રાજવીઓ જેવી ખાસ કોઇ મોટી સેના નહોતી, તેમ છતાં જે બહાદૂરી અને જુસ્સાથી તેણે સિકંદરનો સામનો કર્યો તેનાથી સિકંદરની સેના હતપ્રભ થઈ ગઈ અને તેનો ઉત્સાહ ધીમો પડી ગયો. તેના બધા સેનાપતિઓ એ વાતે ભયભીત થઈ ગયા કે, એક નાનકડા સીમાવર્તી રાજ્યની સેના આવો દૃઢ સામનો કરી શકે છે, તો ખરેખર મોટા રાજ્યની સેનાઓ કેટલી બધી શક્તિશાળી હશે. સિકંદરના મોટા ભાગના સેનાપતિઓ અને સૈનિકો હવે વધારે આગળ વધવાની વિરુધ્ધ થઈ ગયા અને બળવો પોકારી ઊઠ્યા. તેમણે સિકંદરને ભારત પર વિજય મેળવવાની મહત્વકાંક્ષા છોડીને સ્વદેશ તરફ પાછા વળી જવા માટે વિવશ કરી દીધો. તેણે પૂર્વમાં આગળ વધવાનો ઇરાદો તો છોડી દીધો, પરંતુ પોતાના સેનાપતિઓ અને સેનાને સિંધુ નદીને કિનારે કિનારે અરબી સમુદ્ર તરફ આગળ વધવા માટે સમજાવી લીધા. પંજાબની ઉત્તરમાંથી સિંધુને રસ્તે આગળ જતાં પહેલાં, તેણે પોતાના સ્થપતિઓ અને કારીગરોને બીઆસ નદીના તટ પર યુનાનના ઓલમ્પીઅન દેવોને અર્ઘ્ય આપવાને વાસ્તે વેદીઓનું નિર્માણ કરવાનો આદેશ આપ્યો.

આઠસો નૌકાઓનો એક મોટો બેડો બનાવવામાં આવ્યો હતો અને સિકંદરની અડધી સેના નૌકાઓ પર સવાર થઈને અને બાકીની અડધી સેના સિંધુના બંને કિનારા પર કૂચ કરતી આગળ વધી. સિકંદર અને તેની સેનાએ તે રસ્તે જે કંઇ ગતિરોધનો સામનો કરવો પડ્યો તેના પર તેમણે સહેલાઇથી કાબૂ મેળવી લીધો, કેમકે તે ક્ષેત્રમાં કોઇ મોટાં શક્તિશાળી રાજ્યો નહોતાં. ઇસવીસન પૂર્વે ૩૨૫ના જુલાઇ માસમાં તે અરબી સમુદ્ર આગળ સિંધુ નદીના મુખ પાસે પહોંચી ગયો. સિંધુ નદીની બંને પ્રશાખાઓને રસ્તે છેક અરબી સમુદ્રના કિનારા સુધીના સમગ્ર પ્રદેશની તેણે તપાસ કરી. અહીંથી તેણે પોતાની અડધી સેનાને સમુદ્રના રસ્તે યુનાન તરફ પાછી મોકલી અને તે પોતે બાકીની અડધી સેના લઈને જમીન માર્ગે પોતાના વતન તરફ પાછો વળ્યો.



સિકંદર એક મહાન વિજેતા જ નહીં, પરંતુ એક સમજદાર ફિલસૂફ પણ હતો. જેટલો સમય તે ભારતમાં રહ્યો તેમાં તેણે ભારતીય તત્વજ્ઞાનીઓ અને પંડિતોને આમંત્રિત કર્યા અને તેમની સાથે વાદ-વિવાદ કર્યો. તણે પોતાના સૈનિકોને સ્થાનિય લોકો સાથે હળવા-મળવા અને અહીંની સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા આપી. જો તેના વિવાહિત સૈનિકો ઇચ્છતા હોય, તો તેઓ ભારતમાં સ્થાયી થઈને રહી શક્તા હતા. આ ઉપરાંત, સિકંદર તેના ઘણા પ્રતિનિધિઓને ભારતમાં મૂકી ગયો હતો. જ્યારે તેની સેનાએ કચ્છના પ્રદેશથી યુનાન તરફ પાછા વળવાનું શરુ કર્યું, ત્યારે ઘણા યુનાનીઓએ પાછા જવાના કઠિન રસ્તે પડનારી મુશ્કેલીઓનો સામનો કરવાને બદલે ભારતમાં જ રહી જવાનું પસંદ કર્યું. સિકંદરે તેમની ઇચ્છા આડે આવ્યો નહીં, ઉલટાનું તેણે તેમને પ્રોત્સાહિત કર્યા. સિકંદર ઇચ્છતો હતો કે, ભલે તે ભારત પર વિજય ન મેળવી શક્યો, પરંતુ તે હંમેશ માટે ભારત પર યુનાનની છાપ છોડતો જાય.

ઇસવીસન પૂર્વે ૩૨૫ માં કચ્છ વિસ્તાર આનર્ત પ્રદેશનો પશ્ચિમી સીમાવર્તી ભાગ હતો. અને આનર્ત પ્રદેશની રાજધાની આનર્તપુર (જેને આજે આપણે વડનગરના નામથી ઓળખીએ છીએ) ખૂબ જ સમૃધ્ધ નગર હતું. સિકંદરની સેનાથી વિખૂટા થયેલા આ યુનાનીઓ પોતાના દેશમાં નગરોમાં રહેવાવાળા હતા, તેથી સ્વાભાવિક રીતે જ તેઓ આનર્તપુરથી આકર્ષિત થઈને કચ્છથી તે તરફ જવા નીકળી પડ્યા અને ત્યાં પહોંચીને તે નગરમાં વસી ગયા. યુનાનીઓ ઉજળા વાનવાળા, વાંકડિયા વાળવાળા, તેજસ્વી આંખોવાળા, સુડોળ શરીર-સૌષ્ઠવવાળા, અને બુધ્ધિમાન હતા. ભારતીયોની જેમ જ તેઓ પણ અનેક દેવી-દેવતાઓના પૂજક હતા. યુનાનથી ભારત સુધી આવતાં રસ્તામાં તેમણે ઘણાં નગરો અને રાજ્યો પર વિજય મેળવ્યો હતો, અને લૂટમાં બહુ ધન-દોલત એકઠી કરી હતી.

સિકંદરની સેનામાંથી છૂટા પડેલા બધા યુનાનીઓ સૈનિકો નહોતા. તે સમયમાં સૈન્યની સાથે સૈનિકોની વિભિન્ન જરુરિયાતો પૂરી પાડવા માટે ઇજનેરો, જુદી જુદી જાતના કારીગરો, રસોઇયાઓ, નાચ-ગાન અને અન્ય મનોરંજન કરનારા, સામાન્ય મજૂરો, વગેરે અનેક જાતના લોકો પણ રહેતા. આવા મિશ્ર પ્રકારના યુનાનીઓનો સમૂહ આનર્તપુર આવ્યો. આ યુનાની સમૂહમાં પરુષો વધારે અને સ્ત્રીઓ ઘણી ઓછી સંખ્યામાં હતી. પરંતુ તેમાંના અવિવાહિત પરુષોને આ નગરની સુંદર સ્ત્રીઓ સાથે લગ્ન કરવામાં કોઇ મુશ્કેલી નડી નહી, કેમકે તેમની પાસે એક અવિવાહિત સ્ત્રી ઇચ્છે તે બધું જ હતું. થોડાક જ વખતમાં તેઓ આ નગરના લોકોમાં પૂરેપૂરા ભળી થઈ ગયા. હાટકેશ્વર જેમના ઇષ્ટદેવ છે તે નાગર સમાજની ઉત્પત્તિ વિષે જે અનેક માન્યતાઓ પ્રચલિત છે તેમાંની એક એ છે કે, સિકંદરની સેનાથી વિમુક્ત થઈને જે યુનાનીઓ આ નગરમાં આવ્યા તેમનાથી સંમિશ્રિત થઈને ઉત્પન્ન થયેલો તે સમાજ છે.



ઘણો સમય વીતી ગયા બાદ, આજે પણ આ માન્યતા પ્રવર્તે છે. શર્મિષ્ઠાને કિનારે અને અન્ય સ્થળે થયેલા પુરાતવીય ઉત્ખનનમાંથી જે યુનાની સિક્કા અને અન્ય અવશેષો પ્રાપ્ત થયા છે તે આ માન્યતાની પુષ્ટિ કરે છે. નાગરોમાં પ્રવર્તમાન વ્યાપક માન્યતા કે, તેઓ કચ્છથી આવ્યા છે તે પણ મજબૂત મૂળ નાંખીને પડેલી જોવા મળે છે. આ સહેલાઇથી ઉવેખી શકાય તેમ નથી. નાગરો અને યુનાનીઓમાં જે શારીરિક સામ્યતા જોવા મળે છે, તેની ઉપેક્ષા કરવાનું પણ મુશ્કેલ લાગે છે. તેમનામાં નગરોમાં વસવાટ કરવા પ્રત્યે જે નૈસર્ગિક વૃત્તિ છે, તે જાણે કે જૈનિક પ્રકારની દેખાય છે.

યુનાની લોહી નાયક અને સોમપુરા જેવી અન્ય કોમોની નસોમાં પણ વહેતું હશે. યુનાનીઓ નાટ્ય અને શિલ્પ જેવી કળાઓમાં બહુ નિપૂણ હતા. જુના વખતમાં ભારતના વિભિન્ન પ્રદેશોમાં સંગીત અને નૃત્ય કળાનો તો વિકાસ થયો હતો, પરંતુ વડનગરના નાયકો નાટ્ય કળામાં અગ્રેસર હતું. તેવી જ રીતે, અહીંના 'સોમપુરા' તરીકે ઓળખાતા શિલ્પકારોએ યુનાની શિલ્પોમાં જે યથાર્થતા અને સફાઇ જોવા મળે છે તેને જ પ્રતિબિંબિત કરતાં શિલ્પોનું સર્જન કર્યું. પુરાતત્વીય અન્વેષણોથી ભવિષ્યમાં કોઇ દિવસ આપણને યુનાની અનુસંધાનની નક્કર સાબિતીઓ મળી શકે.

ગ્રીસમાં એથેના દેવીનું મંદિર>

અત્યારસુધી તો વડનગરમાં બહુ થોડા પ્રમાણમાં પુરાતત્વીય ઉત્ખનન થયું છે. અને, જે કંઇ ઉત્ખનન થયું છે તે પણ પુરાણા નગરની બહારનાં સ્થળોએ થયેલું છે. જેના પર જુનું નગર વસેલું છે તે, લગભગ ચાર ચોરસ કિલો મીટરના કૃત્રિમ ટેકરા પર તો કોઇ પુરાતત્વીય ખોદકામ થયું જ નથી. એમ બને કે, આ ટેકરામાં જ અમૂલ્ય પુરાતત્વીય ખજાનો સમગ્ર વિશ્વની સમક્ષ ખુલ્લા થવાની રાહ જોતો દટાયેલો પડ્યો હોય!