સપ્તર્ષિ


સપ્તર્ષિ એ શર્મિષ્ઠા સરોવરની પૂર્વે આવેલા એક તળાવના ઓવારાનું નામ છે. તેને લોકો “સપ્તર્ષિના આરા” તરીકે પણ ઓળખે છે. જે કપિલા નદીના પાણીથી શર્મિષ્ઠા ભરાય છે, તે જ કપિલા આ તળાવમાં પણ પાણી ઠાલવે છે. તળાવ “વિશ્વામિત્રી”ના નામે જાણીતું છે. ભૂતકાળમાં આ તળાવની ફરતે સુંદર મહાલયો અને દેવાલયો હતાં. તળાવ ચોમેર સુંદર કોતરણીવાળા પત્થરોના ઓવારાથી શોભાયમાન હતું. આજે તો આ બધાના થોડાક જ અવશેષો બચ્યા છે, પરંતુ તે ઉચ્ચ કક્ષાનાં પુરાણાં શિલ્પોની સાક્ષી પૂરે છે. વડનગરમાં અત્યારે જોવા મળતા પ્રાચીન અવશેષોમાં, નિઃશંકપણે આ પાચીનતમ છે. એમ માનવામાં આવે છે કે, આ જગ્યાએ પુરાણ-પ્રસિધ્ધ યાજ્ઞવલ્ક્ય ઋષિનો આશ્રમ આવેલો હતો. તેમના પુત્ર કાત્યાયન પણ મોટા ઋષિ તરીકે પ્રખ્યાતી પામ્યા હતા અને તેમણે અહીં “વાસ્તુપદ” અને “મહાગણપતી” નામનાં બે ભવ્ય મંદિરો બંધાવ્યાં હતાં.