તમારા પત્રો

તમારા તમારા પ્રતિભાવો આવકાર્ય છે; અમને આ સરનામે લખોઃ vadnagar@gmail.com
તમારા પ્રતિભાવો આવકાર્ય છે; અમને આ સરનામે લખોઃ vadnagar@gmail.com
તમારા પ્રતિભાવો આવકાર્ય છે; અમને આ સરનામે લખોઃ vadnagar@gmail.com




થોડુક વધારે જાણવાની ઈચ્છા થી internet ઉપર મારી જૂની સ્કૂલ વિષે કોઈ article શોધવાની કોશિશ કરતો હતો, દરમિયાન આપનો વડનગર બ્લોગ મળી ગયો અને દિવસ સુધરી ગયો. ૧૯૬૭ ssc પાસ કર્યા પછી ફરીથી સ્કૂલ જોવાનો મોકો મળ્યો નથી. અત્યારે નવીન સર્વ વિદ્યાલય ના pictures જોયા અને સ્કૂલ ના દિવસો યાદ આવી ગયા. ૧૯૬૩ થી ૧૯૬૭ ચાર વર્ષ નવીનમાં ભણ્યા તે દિવસોના તમે ઉલ્લેખ કરેલા બે મહાન શિક્ષકો શ્રી વ્હોરા સાહેબ તથા આચાર્ય શ્રી અં. સો. પટેલ સાહેબ ની dedication ની સ્મૃતિ થયી આવી આ બંને શિક્ષકોના હાથ નીચે મને શિક્ષણ મળેલું. આ સમયે મારા english teacher શ્રી દેવીસાહેબ ની પણ સ્મૃતિ થયી.
વેબ ઉપર આ બધી information મૂકી તમે કેટલું અદભૂત કામ કર્યું છે. તમારો ઘણોજ આભાર. જે students ફરીથી સ્કૂલમાં ગયા નથી તેમને અચૂક atleast એક વખત સ્કૂલ જોવાનું ચોક્કસ મન થશે.
દિનેશ બારોટ.
ડિસેમ્બર ૨૫, ૨૦૦૯
* * *
આ સ્થળ પુરાતત્ત્વવિદોનું સ્વર્ગ છે. અહીં ચારે તરફ પુરાણા અવશેષો વિખરાયેલા પડ્યા છે.


href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgaOzfMOkkM8pO0mB0j0HuVZfPMd0q1Eb1bwnGTF0PsUhZHpOVJZJvRt_9nZUi4GdJKN7h-RtsudZah4b1KMdPpDxvt1xtr6SP_v1jczGp_blPZeuEyxz_mKoIfEBIU2Jima07JVsYdtS0M/s1600-h/MAP-VADNAGAR-1.jpg">

















































































નગરના બહારના ક્ષેત્રમાં પુરાણી વાવ. (step-well)














વાવનો પહેલો માળ. બીજા માળ પાણીમાં ડૂબેલા છે.




















ગૌરી કુંડની અંદરની દિવાલ













ગૌરી કુંડના પાણીની નીચે ડૂબેલાં સુંદર શિલ્પો છે.







પુસ્તકાલય

બંને પુસ્તકાલય શર્મિષ્ઠાને કિનારે આવેલાં છે.


વડનગર ભાગ્યશાળી રહ્યું કે આજથી એકસો વરસ પણ પહેલાં સન ૧૯૦૫ માં એક સારું પુસ્તકાલય તેને મળ્યું. આ પુસ્તકાલયનું સુંદર બે-માળવાળું મકાન શર્મિષ્ઠા સરોવરને કિનારે નગરના મોટા શ્રેષ્ઠી અને દાનવીર શેઠ ભોગીલાલ ચકુલાલ શાહેકરવાળાએ પોતાના પિતાશ્રીની સ્મૃતિમાં બંધાવ્યું. તેનું નામ રાખવામાં આવ્યું 'શેઠ ભોગીલાલ ચકુલાલ વિદ્યાવર્ધક પુસ્તકાલય' અને તેના વહીવટ માટે એક ટ્રસ્ટ રચવામાં આવ્યું.



આ નાના દેખાતા પુસ્તકાલયનું ચિત્તાકર્ષક ફર્નિચર વિક્ટોરિયા શૈલિનું છે અને આજે પણ જોવાલાયક લાગે છે. પુસ્તકાલયનાં કબાટ તે વખતનાં વીણી-વીણીને એકઠાં કરેલાં પુસ્તકોથી ભરેલાં છે. અહીં નગરના લોકો ફક્ત પુસ્તકો અને સામયિકો વાંચવા જ નહીં, પરંતુ ચર્ચા-વિચાર કરવા માટે પણ એકઠા થતા હતા. આ નગરની વિદ્યાભિમુખ સંસ્કારિતાને ઉત્તેજન મળી શકે તેવું વતાવરણ અહીં ઊભું કરવામાં આવ્યું હતું.



શેઠ શ્રી પુરુષોત્તમદાસ નરભેરામ પટેલના દાનથી બનેલું નવું પુસ્તકાલય

નગરના લોકોની વાચન રુચિને જોતાં અગાઉનું પુસ્તકાલય નાનું પડવા લાગ્યું, તેથી મહિલાઓ અને બાળકોને માટે એક બીજા મોટા ભવનનું નિર્માણ કરવાની યોજના બનાવવામાં આવી. અને આ ભવન સન ૧૯૩૫માં, શેઠ શ્રી મયાભાઇ મણીલાલ મહેતા કે જેઓ પોતાના જમાનામાં એક અગ્રણી વેપારી અને દૃષ્ટિસભર આગેવાન હતા, તેમના પ્રયત્નોથી સાકાર થયું.



આ નવા આધુનિક ભવનના નિર્માણ માટે નગરના એક બીજા મોટા વેપારી શેઠ શ્રી પુરુષોત્તમદાસ નરભેરામ પટેલે ઉદાર હાથે દાન આપ્યું.


ક્ષતિગ્રસ્ત ભવન

આ નવું ભવન પ્રથમ પુસ્તકાલયથી થોડાંક જ ડગલાં દૂર બન્યું. સન ૧૯૩૫ માં બંધાયેલું આ ભવન વાસ્તુકલા અને ઇજનેરી કૌશલ્યના અદભુત નમૂના સમાન ગણાયું. જમીન ખુબ ઓછી હોવાને કારણે, ઘડિયાળના ટાવર સહિતની આ બે માળવાળી ઇમારત અડધી જમીન પર અને અડધી ઊંચા થાંભલાઓ પર શર્મિષ્ઠા સરોવરમાં રહે તેવી રીતે બનાવવામાં આવી. થોડાં વર્ષો પહેલાં, આ ભવ્ય ઇમારતના આગળના ભાગમાં કરવામાં આવેલા અવિચારી ખોદકામને કારણે, તેના પાયામાં નુકસાન થયું અને તે આગળ તરફ ઝૂકી પડી. તેની સમતુલા ખોરવાઇ ગઇ. સન ૨૦૦૯માં તેને સીધા કરવાનો અણઘડ પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે તે ભવ્ય ઇમારત અને તેની ઉપરનું અમૂલ્ય ટાવર સમૂળગા જમીનદોસ્ત થઈ ગયાં.



પુસ્તકાલયનું ટાવરવાળું આ ભવ્ય ભવન નગરનું ગૌરવ હતું. શર્મિષ્ઠા સરોવરના કિનારાની શોભા તેને લઈને ઘણી વધી જતી હતી. નગરના બાળકોથી માંડીને વૃધ્ધો સુધી સૌને માટે જ્ઞાનની પરબ અને વિચાર-વિમર્શનું કેન્દ્ર હતું. શું આ સ્થળે આવું ભવ્ય પુસ્તકાલય ફરીથી ક્યારેય બંધાશે?

***

મુખ્ય પૃષ્ઠ જોવા માટે અહીં ક્લિક કરોઃ વડનગર - એક પ્રાચીન નગર

ઋણ સ્વીકૃતિ


નિર્માણ અને આલેખઃ
હરજીવન સુથાર


છબીકલાઃ
રમેશ ગજ્જર (મુખ્ય છબીકાર)
ધનલક્ષ્મી સાકરિયા
રમેશ સાકરિયા
બિપીન શાહ (મોઢેરાની છબીઓ)
પૂજા શાહ
શરદ શાહ (લોથલની છબીઓ)

દુર્ગાપ્રસાદ પટેલ

ડૉન પૉલસન



ઇતિહાસકારઃ
પ્રા. રતિલાલ ભવસાર
ડૉ. મકરંદ મહેતા



સંશોધન સહાયઃ

ગોરધનભાઇ વા. પટેલ


સ્ત્રોતઃ
ડી. સુબ્બા રાવ, પુરાતત્ત્વવિદ, બરોડા યુનિવર્સિટી
ડૉ. એસ. આર. રાવ, પુરાતત્ત્વવિદ, આર્કીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા
શ્રીમતિ ઇંદુબેન વિરેન્દ્રરાય વ્હોરા
વાય.એસ. રાવત, મુખ્ય પુરાતત્ત્વવિદ, ગુજરાત રાજ્ય
વડનગર સંગ્રહાલય, ગુજરાત રાજ્ય સરકાર
વિજય મિસ્ત્રી
મંદિરોનું નગર

વડનગરને મંદિરોનું નગર કહી શકાય. અહીં વિભિન્ન દેવી-દેવતાઓનાં એટલાં બધાં મંદિર છે કે, દર સો ગજના અંતરે કોઇને કોઇ નાનું-મોટું મંદિર અવશ્ય જોવા મળે છે. આમાંથી કેટલાંક ઘણાં પ્રાચીન છે, અને કેટલાંક અર્વાચીન. પુરાણાં મંદિર લાલ અને પીળા રંગના રેતીલા પત્થરોમાંથી બનેલાં છે, જ્યારે આધુનિક સમયમાં બનેલાં મંદિરોમાં પત્થરો ઉપરાંત ઇંટો અને ચુના તથા સીમેંટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બધાં મંદિરોમાં વત્તા-ઓછા પ્રમાણમાં મનમોહક શિલ્પો જોવા મળે છે. નગરમાં બે મોટાં મંદિર-સંકુલ છે - એક, અમથેર માતા મંદિર અને બીજું, હાટકેશ્વર મંદિર.



અમથેર માતા મંદિર

વડનગરના એકદમ પૂર્વ ભાગમાં સ્થિત અમથેર માતા મંદિર બધાથી વધારે પ્રાચીન હયાત મંદિર છે. વાસ્તવમાં, ભૂતકાળમાં ક્યારેક તે અનેક નાનાં-મોટાં મંદિરોનું એક વિશાળ સંકુલ હશે, પરંતુ આજે તેમાંથી માત્ર છ જ મધ્યમ કદનાં મંદિર બચ્યાં છે. આ મંદિરો નકશીદાર પત્થરોના મોટા ઊંચા ઓટલાઓ પર બનાવવામાં આવેલાં છે, જે કંઇક અંશે ખાજુરાહોનાં મંદિરોની યાદ અપાવે છે. આમાં જે સૌથી મોટું મંદિર છે તેનું દ્વાર પશ્ચિમ દિશામાં છે; તેમાં અત્યારે તો અંબાજી માતાની પ્રતિમા વિરાજમાન છે. તેના બહારના ભાગમાં પાર્વતી, મહીષાસુમર્દિની, અને અન્ય દેવતાઓની મૂર્તિઓ છે. અંબાજી મંદિરની પાછળની જગ્યામાં વિષ્ણુ, સપ્તમાતૃકા, સૂર્ય, અને બીજા દેવતાઓનાં નાનાં-નાનાં મંદિરો છે. તેમાં, સૂર્યનું મંદિર ધ્યાન ખેંચે છે. ઉત્તર ગુજરાતમાં ઘણે સ્થળે નાનાં-નાનાં સૂર્ય મંદિરો જોવા મળે છે, પરંતુ ભવ્ય સૂર્ય મંદિર તો માત્ર મોઢેરાનું સૂર્ય મંદિર જ છે. જેમ મોઢેરાના સૂર્ય મંદિરમાંથી સૂર્યની પ્રતિમા ગાયબ થઈ ગયેલી છે, તેમ વડનગરના સૂર્ય મંદિરમાં પણ બનેલું છે.



સમગ્ર અમથેર માતા મંદિર સંકુલને જોતાં એમ લાગે છે કે, અહીં ઘણું બધું નષ્ટ થઈ ચૂક્યું છે અને જે કંઇ બચેલું છે તે તો મૂળ જે હશે તેનો એક નાનો અંશ માત્ર છે. એવું પણ બને કે, આ સંકુલના ઘણા બધા અવશેષ આસપાસની જમીન નીચે ડટાયેલા પડ્યા હોય, અને તે આ નગરના સૌથી પ્રાચીન અવશેષ સાબિત થાય. આ સંકુલનાં મંદિરોનાં દ્વારની દિશા અને તે એકબીજાની લગોલગ જે રીતે ઊભાં છે તે જોતાં એમ પણ લાગે છે કે, આ સંકુલમાં અત્યારે જે કંઇ જોવા મળે છે તેની આ મૂળ જગ્યા ન પણ હોય. કોઇ કારણવશ આ બધું અન્ય કોઇ વધારે વિશાળ સ્થળેથી ઉતાવળે લાવીને અહીં ગોઠવી દેવામાં તો નહીં આવ્યું હોય ને?



હાટકેશ્વર મંદિર

હાટકેશ્વર મંદિર સંકુલ ઘણું વિશાળ છે અને તેની ખ્યાતિ પણ વધારે છે. આ મંદિર સમૂહ તેરમી સદીમાં બનેલો છે. એમાં મુખ્ય મંદિર શિવને સમર્પિત થયેલું છે. એવી માન્યતા છે કે, વર્તમાન શિવ મંદિર ભલે તેરમી સદીમાં બંધાયેલું હોય, પરંતુ આ જ સ્થાન પર હજારો વર્ષોથી શિવ મંદિરનું અસ્તિત્વ રહેલું છે. પુરાણોના કથન મુજબ તો આ શિવ મંદિર મહાભારત-કાળ કરતાં પણ પહેલાંના સમયનું છે; અને હાટકેશ્વરનું શિવલિંગ સ્વયં પ્રગટેલું 'સ્વયંભૂ શિવલિંગ' છે. મંદિરના ગર્ભગૃહમાં જે જગ્યાએ શિવલિંગનું સ્થાપન થયેલું છે, તે સ્થાન વર્તમાન મંદિરના બાકીના સ્તરથી ઘણું નીચું છે. કદાચ, આ હકીકત એ વાતની દ્યોતક છે કે પુરાણા મંદિરના ભગ્નાવશેષો પર જ નવા મંદિરનું નિર્માણ થયું હોય.




હાટકેશ્વર મંદિર પ્રશિષ્ટ શૈલીમાં બાંધવામાં આવ્યું છે. મંદિરનું મુખ્ય દ્વાર પૂર્વાભિમુખ છે, પરંતુ ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં પણ તેનાં અન્ય બે દ્વાર છે. બધાં દ્વાર ભવ્ય છે અને તે બારીક શિલ્પોથી અલંકૃત છે. ત્રણે દ્વારમાંથી મંદિરના હવાદાર વિશાળ મધ્યસ્થ-ખંડમાં જઈ શકાય છે. મધ્ય-ખંડ એક વિશાળ અર્ધગોળ ગુંબજથી ઢંકાયેલો છે. મધ્ય-ખંડની પશ્ચિમમાં ગર્ભગૃહ છે; તેમાં જવા માટે કેટલાંક પગથિયાં ઉતરવાં પડે છે. અહીં જ વિખ્યાત શિવલિંગ વિરાજમાન છે. તેની બરાબર ઉપર ખૂબ ઊંચાઇ પર મંદિરનું મુખ્ય શિખર છે. અહીંથી ઉપર તરફ નજર નાંખતાં એવું લાગે છે કે જાણે આપણે અંતરિક્ષમાં ઊભા રહ્યા હોઇએ. અહીં નિરવ શાંતિ અને દિવ્યતાની અનુભૂતિ થાય છે.

હાટકેશ્વરના સમગ્ર મંદિરમાં ખૂબ જ સુંદર અને બારીક શિલ્પો પ્રચૂર માત્રામાં જોવા મળે છે. મંદિરની અંદર અને બહારની દિવાલો પર પુરાણ, રામાયણ, મહાભારત, અને અન્ય કથાઓનાં દૃષ્યોને સાકાર કરતાં જીવંત જ લાગતાં અનેક શિલ્પો છે. ક્યાંય પણ શિલ્પ વગરની જગ્યા છે જ નહીં. આ વિભૂષિત શિલ્પો જ હાટકેશ્વરની ઓળખ છે અને તે જ તેને અન્ય મંદિરોથી જુદું પાડે છે.

સોમપુરા મંદિર


મહાભારતમાં આનર્ત રાજ્ય

મહાભારતના વિભિન્ન પ્રસંગોમાં આનર્ત રાજ્યની મહત્વની ભૂમિકા રહી. આ વાતનો સંદર્ભ મહાભારતની કથામાં અનેક સ્થળે જોવામાં આવે છે. મહાભારતમાં આનર્ત રાજ્ય અને આનર્ત લોકો વિષે અન્ય લોકોની સાથે નિર્દેશ કરેલો છેઃ "પુંદ્ર, ભાર્ગ, કિરાત, સુદેષણા, યમુના, સાક, નિશાધ, આનર્ત, કુંતલ, અને કુસાલ."

પાંડવ-પુત્રો માટે સુરક્ષા-સ્થાન અને તાલિમી કેન્દ્રના રુપમાં આનર્ત

મહાભારતના ત્રીજા પર્વના એક્સો બ્યાસીમા અધ્યાય (મહા. ૩.૧૮૨) માં કહ્યું છે કે, જ્યારે કૌરવોએ પાંડવોને તેમના રાજ્યમાંથી નિષ્કાસિત કર્યા, ત્યારે દ્રૌપદીથી ઉત્પન્ન થયેલા પાંચ પાંડવ-પુત્રોને પણ હસ્તિનાપુરથી બહાર મોકલી દેવામાં આવ્યા હતા. પહેલાં તેઓ પાંચાલ રાજ્ય, કે જે તેમના માતૃપક્ષના નાના (દાદા) ના શાસન તળે હતું, અને પછી આનર્ત રાજ્યમાં ગયા. આનર્ત રાજ્યમાં તેમણે વિખ્યાત આનર્ત યોધ્ધાઓ પાસેથી યુધ્ધની કળા શીખી.



આનર્ત રાજ્યમાં તેના પુત્રો પોતાનો સમય કેવી રીતે વ્યતિત કરે છે તેનું વર્ણન કૃષ્ણ આ શબ્દોમાં દ્રૌપદી આગળ કરે છેઃ "તારા આ પુત્રો શસ્ત્રોના વિજ્ઞાનના અભ્યાસ પ્રતિ સમર્પિત છે, સુચારુ વર્તન કરે છે, અને તેમનું આચરણ તેમના સાચા મિત્રોના આચરણ જેવું જ છે. તારા પિતાશ્રી અને ભાઇઓએ તેમની સમક્ષ રાજ્ય અને પ્રદેશનો સ્વિકાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ છોકરાઓને દ્રુપદના નિવાસમાં અને તેમના મામાઓને ત્યાં આનંદ નહોતો મળતો. તેથી તેઓ સહિસલામત આનર્તોના પ્રદેશમાં જઈને શસ્ત્રોના વિજ્ઞાનના અભ્યાસમાં સૌથી વધારે આનંદ મેળવે છે. તારા પુત્રો વ્રિશ્નીઓના નગરમાં પ્રવેશ કરે છે અને તેમને ત્વરિત ત્યાંના લોકો પસંદ પડી જાય છે. તેમણે કેવી રીતે આચરણ કરવું જોઇએ તેના માટે જેવી રીતે તું તેમને માર્ગદર્શન આપતી હોત, અથવા માનનિય કુંતિ આપતાં હોત, તેવી જ રીતે સુભદ્રા સતર્કતાથી તેમનું માર્ગદર્શન કરે છે. કદાચ તે તેમનું વધારે ધ્યાન રાખે છે. પ્રદ્યુમ્ન જેવી રીતે અનિરુધ્ધ, અભિમન્યુ, સુનિત અને ભાનુના શિક્ષક છે, તેવી જ રીતે તારા પુત્રોના પણ શિક્ષક અને આશ્રયદાતા છે. અને સારા શિક્ષક, કે જે તેમને ભાલા, તરવાર, ઢાલ, અસ્ત્ર, અને રથ ચલાવવાની કળા, ઘોડેસ્વારી કરવાના, અને બહાદૂર બનવાના પાઠ ઉત્તરોત્તર શીખવે છે. અને તે પ્રદ્યુમ્ન, રુક્મણીનો પુત્ર, તારા પુત્રો અને અભિમન્યુનાં પરાક્રમી કાર્યોથી સંતુષ્ટ થાય છે. હે દ્રુપદપુત્રી! જ્યારે તારા પુત્રો ક્રિડા કરવા માટે બહાર જાય છે, તો દરેકની સાથે રથ, ઘોડા, વાહન, અને હાથી રહેતા હોય છે."

ત્યારપછી, કૃષ્ણ પાંડવોના નિષ્કાસિત નરેશ યુધિષ્ઠીરને બતાવે છે કે પાંડવોના પક્ષે લડવા માટે કયા કયા શૂરવીર આનર્ત સેનાપતિ અને યોધ્ધા તત્પર છે. તેમાં સાતવત, દસાર્હ, કુકુર, અધક, ભોજ, વ્રિષ્ણી, અને મધુ જાતિઓ સામેલ છે. તેઓ પાંડવોના શત્રુઓને હરાવવા માટે તૈયાર છે. હળ જેનું આયુધ છે તે બલરામ પણ ધનુષ્યધારીઓ, ઘોડેસ્વારો, પાયદળના સૈનિકો, અને રથ તથા હાથી પર સવાર યોધ્ધાઓના આગેવાન થશે.



આનર્તમાં કુંતી

મહાભારતના પાંચમા પર્વના ત્ર્યાસીમા અધ્યાય (મહા. ૫.૮૩) માં નિર્દેશ છે કે, પાંડવોના નિષ્કાસનના કાળમાં કેટલાક સમય માટે તેમની માતા કુંતી આનર્ત પ્રદેશમાં રહી.

મહાભારતના યુધ્ધમાં આનર્તોનું જોડાણ


મહાભારતના પાંચમા પર્વના સાતમા અધ્યાય (મહા. ૫.૭) માં આપણને એ બાબતનું વિસ્તૃત વિવરણ મળે છે કે, કૌરવો અને પાંડવોની વચ્ચે થનારા યુધ્ધમાં આનર્ત યોધ્ધાઓનો સાથ મેળવવા માટે આનર્તપુરની મુલાકત વખતે દુર્યોધન અને અર્જુન બંનેના પ્રયત્નોનું શું પરિણામ આવ્યું.

કેટલાક આનર્ત યોધ્ધાઓએ કૌરવોના સૈન્યમાં સામેલ થવાનું પસંદ કર્યું, તો કેટલાક યોધ્ધાઓએ પાંડવોને સાથ આપવાનું પસંદ કર્યું. યાદવોના નરેશ વાસુદેવ કૃષ્ણ સ્વયં પાંડવો સાથે જોડાયેલા રહ્યા. તેમણે યુધ્ધમાં કોઇ શસ્ત્ર નહીં ઉગામવાનું વચન આપ્યું, પરંતુ તેમાં તેમણે એક રાજનીતિજ્ઞ, શાંતિના દૂત, રણ-નીતિના સલાહકાર, અને અર્જુનના માર્ગદર્શક તથા તેના રથના સારથિ તરીકે ભાગ લેવાનો નિશ્ચય કર્યો. કોણ જાણે કેમ, તેમણે સંખ્યાબંધ યોધ્ધાઓનું બનેલું 'નારાયણ' નામથી ઓળખાતું પોતાનું સૈન્ય કૌરવોના આગેવાન દુર્યોધનને આપ્યું.

કૃષ્ણના ભાઇ બલરામની ઇચ્છા દુર્યોધનની મદદ કરવાની અને કૌરવ સેનાને પક્ષે લડવાની હતી. પરંતુ તેમ કરવાથી બલરામે પોતાના જ ભાઇ કૃષ્ણની સામે લડવું પડે તેમ હતું, કેમકે કૃષ્ણે પાંડવોના આગેવાન અર્જુનના સારથી બનવાનું પસંદ કર્યું હતું. આથી તેમણે નિષ્પક્ષ રહેવાનું પસંદ કર્યું. છેવટે, તેમણે યુધ્ધમાં બિલકુલ ભાગ જ ન લેવાનો નિશ્ચય કર્યો અને તેઓ સરસ્વતી નદીની તટ-યાત્રા પર ચાલ્યા ગયા.



આનર્ત યોધ્ધાઓનો સંહાર

ભોજ યાદવ સેનાપતિ કૃતવર્મ પોતાની એક અક્ષૌહિણી સેના લઈને કૌરવો સાથે જોડાઇ ગયો. તેની સામે, બીજો મહાન આનર્ત સેનાપતિ સત્યકી, જેની પાસે પણ એક અક્ષૌહિણી સેના હતી, પાંડવોના પક્ષે ગયો. આ બંને પોતપોતાની સેના લઈને એક બીજાની સામે લડ્યા અને સ્વયં પણ એકબીજા સાથે દ્વંદ્વ-યુધ્ધમાં ઉતર્યા. (મહા. ૯.૨૧).

આ બંને આનર્ત સેનાપતિઓ કુરુક્ષેત્રના યુધ્ધમાંથી તો જીવિત પાછા આવ્યા. પરંતુ તેના છત્રીસ વર્ષ બાદ, એક દિવસ તેમના વચ્ચે મહાભારતના યુધ્ધ દરમિયાન અનુચિત રીતભાતનો ઉપયોગ કરવાની વાતને લઈને ઝઘડો થઈ ગયો. તે બંને મદિરાના નશામાં હોવાથી મારામારી પર આવી ગયા. અને ગાંધારીએ અગાઉથી ભવિષ્યકથન કર્યું હતું તે પ્રમાણે, બાકીના યાદવોની સાથે સાથે તેઓ પણ અંદરોઅંદર લડીને એકબીજા વડે જ માર્યા ગયા. (મહા. ૧૬.૩.).

આવી રીતે, કુરુક્ષેત્રનું યુધ્ધ એટલા બધા આનર્ત યોધ્ધાઓના સંહારનું નીમિત્ત બન્યું કે, તેની પશ્ચાત્ આનર્તોના સૈનિક આધિપત્યનો અસ્તાંચળ થઈ ગયો.

[મહાભારતનો સંદર્ભઃ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનું મહાભારત, અંગ્રેજી ભાષાંતરઃ કૈસરી મોહન ગાંગુલી, ભારત પ્રેસ, કલકત્તા, ૧૮૮૩-૯૭.]


નવીન સર્વ વિદ્યાલય

સન ૧૯૪૦ માં શેઠ શ્રી માનચંદદાસ કુબેરદાસ પટેલે પોતાના પિતા શ્રી કુબેરદાસ પટેલના સ્મરણાર્થે નવીન સર્વ વિદ્યાલયની સ્થાપના કરી. આ વિદ્યાલય આગળ જતાં ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધી વિકસ્યું. શ્રી માનચંનદદાસ વડનગરના સપૂત હતા અને તેમનો મુંબઈમાં મોટો વેપાર હતો. મૂળ તો, તેમણે કુબેરવાડી નામનું એક મોટું ભવન બંધાવ્યું હતું અને તેમાં અનાથ બાળકો માટે 'બૉર્ડિંગ હાઉસ' સ્થાપ્યું હતું.



આ ભવન તેમના પરમ મિત્ર અને નામાંકિત સ્થપતિ શ્રી પુરુષોત્તમદાસ હરિકરણ સુથારના માર્ગદર્શન નીચે બન્યું હતું. જ્યારે શ્રી માનચંદદાસે તેનો ઉપયોગ વિદ્યાલય માટે કરવાનો નિશ્ચય કર્યો, ત્યારે તેનો બધો કાર્યભાર પણ શ્રી પુરુષોત્તમદાસને સોંપ્યો, કેમકે તેઓ પોતે તો મુંબઈથી વડનગર વર્ષે બે વર્ષે થોડાક દિવસો પૂરતા જ આવતા.



પહેલા વર્ષે તો વિદ્યાલય એક જ વર્ગથી શરુ થયું, ત્યારપછી દર વર્ષે આગળનું એક ધોરણ વધારવામાં આવ્યું. આમ, આગળનાં દસ વર્ષમાં તેને પૂર્ણ હાઇસ્કૂલ બનાવવામાં આવી. આ કામ કંઇ સરળ નહોતું. દર વર્ષે શાળાના નવા વર્ગ-ખંડની ફર્નિચર બનાવડાવવાથી માંડીને નવા શિક્ષક શોધી કાઢવા સુધીની વ્યવસ્થા કરવાની રહેતી. અને આ વિદ્યાલયનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય શિક્ષણ આપવાનો હતો, તેથી તે જાતના અભ્યાસક્રમો અને શિક્ષકો જરુરી બનતા. સાથે સાથે અનાથ બાળકો માટે એક જુદા જ ભવનના નિર્માણનું કામ પણ કરવામાં આવ્યું. અનાથ બાળકોના આ છાત્રાલયની વ્યવસ્થા શ્રી બાબુભાઇ વિઠ્ઠલદાસ પટેલે નિસ્પૃહ ભાવે ઉપાડી લઈને ન ભૂલાય તેવી સેવા કરી. આ સમગ્ર યોજના વિષેની વિશિષ્ટ વાત તો એ હતી કે તે માટે જરુરી તમામ ધન શ્રી માનચંદદાસ પટેલે એકલાએ જ દાનરુપે પૂરું પાડ્યું. ન તો એમણે ક્યારેય કોઇની મદદ માંગી, કે ન ક્યારેય વિદ્યાલયના વિકાસ માટે દાન આપવામાં કોઇ પણ રીતે પાછી પાની કરી.

સન ૧૯૫૪માં શ્રી માનચંદદાસ અને સન ૧૯૫૬માં શ્રી પુરુષોત્તમદાસનું અવસાન થઈ ગયું. પરંતુ બંનેએ દૂરદર્શિતા વાપરીને વિદ્યાલયની બધી વ્યવસ્થા શ્રી સુખલાલ બેચરદાસ પટેલની અધ્યક્ષતામાં બનેલી એક સ્થાનિક સમિતિને સોંપી દીધી હતી. તેમની આગેવાનીમાં જ વિદ્યાલયને ઉચ્ચતર માધ્યમિક શાળા, અને તે પણ વિજ્ઞાન પ્રવાહમાં, નો દરજ્જો પ્રાપ્ત થયો. વળી, વધતા જતા વિદ્યાર્થીઓની સંખ્યાને સમાવિષ્ટ કરવા માટે જુના ભવનની બાજુમાં જ એક નવા મકાનનું નિર્માણ થયું.

આ વિદ્યાલય શરુઆતથી જ રાષ્ટ્રીય શિક્ષણને અનુરુપ ઉચ્ચ કક્ષાની શક્તિઓ ધરાવતા અધ્યાપકો મેળવવામાં ભાગ્યશાળી રહ્યું. વિદ્યાલયના સર્વાંગી વિકાસમાં, શરુઆતનાં વર્ષોમાં આચાર્ય રહેલા શ્રી વિરેન્દ્રરાય કૃષ્ણપ્રસાદ વ્હોરા અને પાછળનાં વર્ષોમાં આચાર્ય રહેલા શ્રી અંબાલાલ સોમભાઇ પટેલની કાર્યક્ષમતા અને કર્તવ્યનિષ્ઠાનો ફાળો નાનોસૂનો નથી. અડધા શતક કરતાં પણ વધારે સમય પહેલાં કે જ્યારે દેશ સ્વતંત્ર પણ નહોતો, ત્યારે એક વર્ગથી શરુ થયેલું આ વિદ્યાલય આજે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે આ વિસ્તારમાં પ્રથમ પસંદગીની શાળા મનાય છે.



અત્યારસુધીમાં, આ વિદ્યાલયમાં અભ્યાસ કરીને ઘણા વિદ્યાર્થીઓએ તેજસ્વી કારકિર્દી બનાવી છે; અને તેમાંના કેટલાય પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધ્યા છે.


પાટણ

આનર્ત રાજ્યનો અસ્ત થયા બાદ, પ્રથમ વલ્લભી અને ત્યારબાદ પાટણ ગુજરાતની રાજધાની બન્યાં. સન ૭૪૫ માં વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના કરી. સન ૮૪૨ અને ૧૨૪૪ ની વચ્ચે ત્રણ સદીઓ જેટલા લાંબા સમય સુધી, તે સોલંકી રાજવીઓ મૂળરાજ, કુમારપાળ, અને સિધ્ધરાજની રાજસત્તામાં પોતાના વિકાસ અને વૈભવના શિખરે રહ્યું. તે સમયે સંપત્તિ અને સંસ્કારિતામાં તેની બરાબરી કરી શકે તેવું એક પણ શહેર આખા પશ્ચિમ ભારતમાં ક્યાંય નહોતું.



સન ૧૨૪૪ થી વાઘેલા રાજવીઓ પાટણમાં સત્તા પર આવ્યા, પરંતુ તેઓ કંઇ વધારે તાકાતવાળા સાબિત થયા નહીં. સન ૧૩૦૪ માં દિલ્હી સલતનતે ગુજરાત જીતી લીધું અને પાટણમાં તેના સૂબાને સત્તા સંભાળવા મૂક્યો. સન ૧૪૧૧ માં સુલતાન અહમદ શાહ ગુજરાતની રાજધાની પાટણથી ખસેડીને અમદાવાદ લઈ ગયો.

રેલ્વે આવી

સન ૧૮૫૨ માં ભારતમાં મુંબઈ અને થાણેની વચ્ચે પ્રથમ રેલ્વેના પાટા નાંખવામાં આવ્યા. આ પાટા પર ૧૬ મી એપ્રિલ ૧૮૫૩ ના દિવસે આ બે સ્ટેશનો વચ્ચેનું ૩૪ કિલો મીટરનું અંતર કાપતી પહેલી રેલગાડી દોડી.




શ્રી જેઠાભાઇ મારફતિયાએ રાખેલી નોંધ પ્રમાણે વડનગરમાં સન ૧૯૦૭ સુધીમાં તો રેલ્વે આવી ગઈ હતી. તેનાથી આ નગર આખા દેશ સાથે જોડાઇ ગયું અને વેપારની બધી દિશાઓ ખુલી ગઈ. હવે, વડનગર અને તેની આસપાસના પ્રદેશમાં ઉત્પન્ન થતો માલ-સામાન દૂર-સુદૂરનાં સ્થળોએ સહેલાઇથી મોકલી શકાતો હતો. તેવી જ રીતે દૂર દૂર નાં ઉત્પાદન કેન્દ્રોમાંથી વિધવિધ પ્રકારની ચીજવસ્તુઓ આ નગરમાં આવવા લાગી.



અહીંનો વેપાર ઝડપથી વધવા લાગ્યો; અને થોડાંક જ વર્ષોમાં આ નગર કૃષિ અને ઔદ્યોગિક પેદાશો માટેનું એક મોટું બજાર બની ગયું. ગોળના વેપાર માટે તો આખા ગુજરાતનું તે સૌથી મોટું કેન્દ્ર બની ગયું; તે એટલે સુધી કે, વડનગરના વેપારીઓ અમદાવાદના બજારને ગોળ પૂરો પાડતા હતા. તેવી જ રીતે ઇમારતી લાકડાના વેપારનું પણ તે મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું. અહીંના વેપારીઓ બર્મા (આજનું મયાનમાર), મલ્બાર, આસામ, અને નેપાળમાંથી ઇમારતી લાકડું ખરીદી લાવતા હતા અને તે પોતાની લાટીઓમાં વહેરીને આખા ઉત્તર ગુજરાતમાં વેચતા હતા. વડનગર કાપડ રંગવા અને તેના પર છાપકામ કરવાના ઉદ્યોગ માટે ગુજરાતભરમાં પ્રખ્યાત થયું. અહીંની ભાવસાર અને છીપા કોમો આ ઉદ્યોગ ચલાવતી હતી અને તેમના કળા-કૌશલ્ય માટે તે મોટી નામના ધરાવતી હતી. અહીં તાંબા-પિત્તળનાં વાસણો બનાવવાનો મોટો ઉદ્યોગ ખીલ્યો, કેમકે નગરની કંસારા કોમના કારીગરોની તોલે આવે તેવા કારીગરો અન્યત્ર મળવા બહુ મુશ્કેલ હતા.

કૃષિ પેદાશોના વેપારમાં પણ આ નગર ઘણું આગળ વધ્યું. અહીંના વેપારીઓ કઠોળ, તેલીબિયાં, જીરુ, રાયડો, કપાસ, વગેરે જેવી આસપાસના પ્રદેશમાં પાકતી કૃષિ પેદાશોનો મોટો વેપાર કરતા હતા. કૃષિ પેદાશો પર આધારિત ત્રણ મોટા ઉદ્યોગો પણ અહીં ઊભા થયા. તેલીબિયાં પીલીને તેમાથી તેલ કાઢવાનો ઘાણી ઉધોગ શરુમાં બળદ-ઘાણી અને પછી ઓઇલ એન્જિન તથા વીજળિક મોટરથી ખૂબ વિકસ્યો. ડાંગર છડીને ચોખા અને કઠોળની દાળ તૈયાર કરવા માટે પણ 'રાઇસ એન્ડ પલ્સ' મિલો ઊભી થઈ. અને તેવી જ રીતે, કપાસ પીલીને રુની ગાંસડીઓ તૈયાર કરવાની જિનિંગ ફેક્ટરી પણ અહીં બની.

આ એવો સમય હતો કે, જ્યારે અહીં પેદા થતો માલ-સામાન બહાર મોકલવા માટે જોઇતાં રેલ્વેનાં વેગનો મેળવવા વેપારીઓ પડાપડી કરતા અને રેલ્વે ગોદામ રાત-દિવસ પ્રવૃત્તિથી ધમધમતું રહેતું હતું.

એ ન ભૂલવું જોઇએ કે, વીસમી સદીનાં પ્રથમ પચાસ વર્ષો દરમિયાન નગરમાં વેપાર અને ઉદ્યોગને લગતી આ બધી પ્રવૃત્તીઓ ઊભી થઈ અને તેમનો ઝડપી વિકાસ થયો તેમાં રેલ્વે અને વીજળીની ઉપલબ્ધિએ અમૂલ્ય ફાળો આપ્યો.

[રેલ્વે સ્ટેશનની જુની છબીઓ અને દસ્તાવેજ શ્રી અમૃતભાઇ પટેલના સૌજન્યથી પ્રાપ્ત થયેલાં છે.]