બસો વર્ષથી પણ પુરાણું વટવૃક્ષ
વૃધ્ધનગર

સમયના વહેણ સાથે, આનંદપુર જ્યારે બહુ પુરાણું અને જીર્ણ થઈ ગયું ત્યારે લોકો કહેવા લાગ્યા કે તે હવે વૃધ્ધ નગર થઈ ગયું છે. માળવા તરફથી એક પછી એક હુમલાખોરો તેના પર ચઢી આવ્યા. ધીમે ધીમે તેના વ્યાપાર-ઉદ્યોગ પડી ભાંગ્યા. તેની ઝાકઝમાળ પહેલાંના જેવી રહી નહીં. આ એક એવું નગર હતું કે જેનાં મંદિરો, આવાસ, અને ગલીઓ સુધ્ધાં કોઇ વૃધ્ધ માણસની જેમ પુરાણાં થઈ ચૂક્યાં હતાં. નગર ભલે જુનું થઈ ગયું, પરંતુ હજી પણ તે સંગીત, નાટ્ય, શિલ્પ, અને વાસ્તુશાસ્ત્ર જેવી કળાઓમાં આગળ પડતું હતું તથા વિદ્યા અને વેપારનું મથક હતું. પરંતુ, તેનો આગળ વિકાસ અટકી ગયો. કેટલાક વખત સુધી તે વૃધ્ધનગર તરીકે ઓળખાતું રહ્યું. છેવટે, તેનું અપભ્રંશ થઈને કે પછી તેની ચારેકોર આવેલાં વડનાં સંખ્યાબંધ વૃક્ષોને લઈને નગરનું નામ વડનગર થઈ ગયું.