અર્જુનબારી દરવાજો

છ દરવાજા

સન ૧૧૫૨ માં સોળંકી નરેશ કુમારપાળે બંધાવેલો છ દરવાજાવાળો એક રક્ષણાત્મક કિલ્લો આખા જુના નગરની આસપાસ હતો. શર્મિષ્ઠા સરોવરના તટ પર પૂર્વ દિશા સંમુખ સ્થિત અર્જુનબારી દરવાજા પર લગાવવામાં આવેલી પત્થરમાં કોતરેલી તકતીઓ પરનું લખાણ આ બાબતનું પ્રમાણ પૂરુ પાડે છે. આજે તો કિલ્લાની મોટા ભાગની દિવાલ નષ્ટ થઈ ચૂકી છે, પરંતુ છમાંથી પાંચ ભવ્ય દરવાજા લગભગ અખંડ ઊભા છે. દરેક હયાત દરવાજો જુદી જુદી પરિકલ્પના (ડિઝાઇન) માં બનાવવામાં આવ્યો છે. આ ઉચ્ચ કક્ષાની કારીગરીના અમૂલ્ય નમૂના છે.



દરવાજાઓની દિવાલો પર ઠેર ઠેર વેરાયેલાં કેટલાંયે સુંદર શિલ્પો છે. જેમ ખાજુરાહો અને અન્ય કેટલાંક સ્થળોએ જોવા મળે છે, તેમ અહીં પણ કેટલાંક રોમાંચભર્યાં કમનિય શિલ્પ નજરે પડે છે. આ ઘણા નાના કદમાં ઊંચે લગાડેલાં છે. પરંતુ, આવી સાર્વજનિક જગ્યાઓ પર આવાં શિલ્પો હોવાં તે હકીકત, એ બાબતનું પ્રમાણ છે કે મનુષ્યમાં રહેલી કામ-વૃત્તિને તે જમાનામાં ખુલ્લા મનથી જોવામાં આવતી હતી.



નદીઓળ દરવાજો, જેનો શબ્દશઃ અર્થ 'નદી તરફનો દરવાજો' થાય છે, કંઇક સારી સ્થિતિમાં રહ્યો છે. તેના ઉપર જે શિલ્પો છે, તે બધાથી વધારે સુંદર છે.