સોલંકી શાસક

ત્રણ સદીઓ કરતાં પણ વધારે સમય સુધી સોલંકી શાસકોએ વડનગરના ઇતિહાસમાં મહત્વની ભૂમિકા ભજવી. સન ૯૪૨ માં મૂળરાજે ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કરી અને તેણે માળવાના શાસકોને વડનગર અને તેની આસપાસના પ્રદેશમાંથી હાંકી કાઢ્યા. માળવાના શાસકોએ આ નગરનું ભરપૂર શોષણ કર્યું હતું અને તેને કારણે તે તેની જાહોજલાલી ખોઇ બેઠું હતું. મૂળરાજ સોલંકી ઘણો સક્ષમ શાસક હતો. તેણે સન ૯૪૨ થી ૯૯૫ જેટલી ૫૩ વર્ષની અવધિ સુધી રાજ કર્યું અને ગુજરાતને સ્થિરતા તથા સમૃધ્ધિ પ્રદાન કરી. તેના શાસનની સાથે જ ગુજરાતની રાજધાની પાટણ માટે જ નહીં, પરંતુ વડનગર માટે પણ સુવર્ણયુગની શરુઆત થઈ.



નગરમાં કેટલાંયે નવાં મંદિરો બનાવવામાં આવ્યાં અને પુરાણાં મંદિરોનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. શર્મિષ્ઠાના દક્ષિણ કિનારા પર એક મોટા સુયોજીત બજારે આકર લીધો. પત્થરોથી ઢંકાયેલા પાકા રસ્તા બનાવવામાં આવ્યા. નગરને અન્ય પ્રદેશો સાથે જોડતા રસ્તાઓને કિનારે મુસાફરો માટે કૂવા અને વાવો બાંધવામાં આવી.



આજે વડનગરમાં જેટલાં પણ શિલ્પ દેખાય છે, તેમાંનાં મોટા ભાગનાં સોલંકી યુગમાં બન્યાં હતાં.



વડનગરના સાંસ્કૃતિક અને આર્થિક મૂલ્યની સમજ ધરાવવાને કારણે જ સોલંકી નરેશ કુમારપાળે સન ૧૧૫૨ માં નગરના કિલ્લાનું પુનઃનિર્માણ કરાવીને તેને વધારે મજ્બૂત બનાવ્યો.



લગભગ તેરમી સદીના અંત સુધી આ નગર સોલંકીઓના શાસન નીચે સુરક્ષિત રહ્યું અને તેના વેપાર-ઉદ્યોગની વૃધ્ધિ થતી રહી. સન ૧૨૯૭ માં દિલ્હી સલતનતે ગુજરાત જીતી લીધું. સુલતાનના લશ્કરે વડનગર પર હુમલો કર્યો, તેને લૂંટ્યું, સળગાવ્યું, અને તેના આગેવાન નાગરિકોની કતલ કરી. મજબૂત કિલ્લો કોઇ કામ ન આવ્યો, કેમકે તેનું રક્ષણ કરનાર કોઇ સૈન્ય ત્યાં હતું જ નહીં.